વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ટ્રેન મુસાફરોને એક ખાસ ભેટ આપી છે. વડા પ્રધાન મોદીએ રવિવારે તેલંગણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સ દ્વારા લીલી ઝંડી બતાવી હતી. તે તેલંગણા અને આંધ્રપ્રદેશના બે તેલુગુ ભાષી રાજ્યોને જોડનારી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ છે. વડા પ્રધાને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવીને રાષ્ટ્રને સમર્પિત કરી.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી, તેલંગાણાના ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન અને તેલંગાણા સરકારના ઘણા મંત્રીઓ આ પ્રસંગે સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર વ્યક્તિગત રીતે હાજર હતા. આ નવી ટ્રેનની નિયમિત સેવા 16 જાન્યુઆરીથી શરૂ થશે અને શનિવારથી ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે.
વિશાખાપટ્ટનમ - સિકંદરાબાદ એક્સપ્રેસ (20833) વિશાખાપટ્ટનમ સવારે 05:45 વાગ્યે ઉપડશે અને બપોરે 02:15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ટ્રેન (20834) બપોરે 3:00 વાગ્યે સિકંદરાબાદથી ઉપડશે અને 11:30 PM પર વિશાખાપટ્ટનમ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં રાજમુન્દ્રી, વિજયવાડા, ખમ્મામ અને વારંગલમાં ઉભી રહેશે.
વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તે મુસાફરોને ઝડપથી તેમના ગંતવ્ય સ્થાને લઈ જાય છે અને મુસાફરીને એક સુખદ અનુભવ બનાવે છે. આ એક્સપ્રેસમાં સ્વદેશી બનાવટની કવચ સુવિધા પણ છે જે ટ્રેનોને અથડામણથી બચાવે છે.
કુલ 14 એસી ચેર અને બે એક્ઝિક્યુટિવ એસી ચેર કોચ ધરાવતી આ ટ્રેનમાં 1,128 મુસાફરોની ક્ષમતા છે. વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી 2019માં નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડતી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે, રેલવે પાસે હવે આઠ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો છે.