રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વ્યાજ દરો અત્યારે ઊંચા રહેશે અને તે આ ઊંચા સ્તરે કેટલો સમય રહેશે તે તો સમય જ કહેશે. વર્તમાન ભૌગોલિક રાજકીય સંકટને ધ્યાનમાં રાખીને, વિશ્વભરની મુખ્ય કેન્દ્રીય બેન્કોએ ઉચ્ચ ફુગાવાને પહોંચી વળવા માટે તેમના મુખ્ય નીતિ દરોમાં વધારો કર્યો છે.
જોકે, ફુગાવાને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેન્કે આ વર્ષે ફેબ્રુઆરીથી પોલિસી રેટમાં વધારો કર્યો નથી. તે 6.5 ટકા પર અકબંધ છે. પહેલા, ગયા વર્ષે મે માસથી રેપો રેટમાં કુલ છ વખતમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. દાસે આગળ કહ્યું હતું કે ભાવ સ્થિરતા અને નાણાકીય સ્થિરતા એકબીજાના પૂરક છે રિઝર્વ બેન્કે બન્નેને અસરકારક રીતે સંચાલિત કરવાનો પ્રયાસ કર્યો છે. શાકભાજી અને ઈંધણના ભાવમાં નરમાઈને કારણે સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે છૂટક ફુગાવો 5.02 ટકાના ત્રણ મહિનાના નીચા સ્તર પર આવી ગયો હતો.
નાણાકીય નીતિની અસર ડિજિટલ પેમેન્ટ દ્વારા ઝડપથી અને અસરકારક રીતે દેખાઈ રહી છે. નાણાકીય નીતિ હંમેશા પડકારજનક રહે છે અને આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી. ગવર્નરે જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્ર હવે ત્રણ પડકારોનો સામનો કરે છે. જેમાં ફુગાવો, ધીમી વૃદ્ધિ અને નાણાકીય સ્થિરતા માટેના જોખમોનો સમાવેશ થાય છે.