ઉત્તરાખંડના ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મોટી સફળતા મળી છે. આખરે 17 દિવસ બાદ મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી પાંચ મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ સહિત તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. મજૂરોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે.
સાંજે 8.00 વાગ્યા સુધી 18 મજૂરો આવ્યા બહાર
સાંજે 8.00 વાગ્યા સુધી 18 મજૂરોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મજૂરોના પરિવારજનો ગરમ ચા અને ઠંડીના કપડા લઈને ટનલની અંદર ગયા છે.
મુખ્યમંત્રી ધામીએ રેસ્ક્યૂ ટીમની કરી પ્રશંસા
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બહાર આવેલા શ્રમિકો સાથે મુલાકાત કરી છે. કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ત્યાં હાજર છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શ્રમિકો અને રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા કર્મીઓના મનોબળ અને સાહસની પ્રશંસા કરી છે. બહાર આવેલા શ્રમિકોના પરિવારજનો પણ ટનલની બહાર હાજર છે. ટનલમાંથી બહાર આવેલા મજૂરોને મેડિકલ તપાસ માટે ટનલમાં બનેલા અસ્થાયી મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યાં છે.