Post Office: શું તમે કોઈપણ જોખમ વિના સારા વળતરવાળી સ્કીમ શોધી રહ્યાં છો? આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં તમે કોઈપણ જોખમ વિના 8 લાખ રૂપિયાનું વળતર મેળવી શકો છો. તાજેતરમાં કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દરમાં 30 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે વ્યાજ દર અગાઉના 6.2 ટકાથી વધારીને 6.5 ટકા કર્યો છે. આ વ્યાજ દર જુલાઈ-સપ્ટેમ્બર 2023ના સમયગાળા માટે લાગુ છે. આ યોજના એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ દસ વર્ષ સુધી દર મહિને એક નિશ્ચિત રકમ બચાવવા માગે છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં જોખમ ઓછું અને વળતર વધુ છે.
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ દરેક પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે. 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે. સંયુક્ત ખાતું ત્રણ લોકો એકસાથે પણ ખોલાવી શકે છે. માતા-પિતા સગીરોના નામે આ સ્કીમ ખોલી શકે છે. તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. સૌ પ્રથમ રિકરિંગ ડિપોઝીટ 5 વર્ષ માટે ખોલવામાં આવે છે. આ પછી તેને આગામી 5 વર્ષ માટે વધારી શકાય છે.
પોસ્ટ ઓફિસના રિકરિંગ ડિપોઝિટ ખાતામાં 10 વર્ષ માટે દર મહિને 5,000 રૂપિયાની બચત પર 6.5 ટકાના વર્તમાન વ્યાજ દરે 8.46 લાખ રૂપિયાનું વળતર મળશે. જો 10 વર્ષમાં જમા રકમ 6 લાખ રૂપિયા છે તો વ્યાજ 2.46 લાખ રૂપિયા થશે. જો સરકાર વ્યાજ દર વધારશે તો વળતર વધુ મળશે અને જો વ્યાજદર ઘટાડશે તો વળતર ઓછું મળશે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલ્યાના ત્રણ વર્ષ પછી બંધ કરી શકાય છે. ખાતું ખોલવાના એક વર્ષ પછી 50% લોન પણ લઈ શકાય છે. કેન્દ્ર સરકારની ઘણી બચત યોજનાઓ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે. તેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, કિસાન વિકાસ પત્ર, પીપીએફ, રિકરિંગ ડિપોઝિટ જેવી ઘણી યોજનાઓ છે.