Budget 2023 : કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે KYC અંગે મોટી રાહત આપી છે. કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા માટે, તેઓએ પદ્ધતિમાં જ ફેરફાર કર્યો છે. અત્યાર સુધી દરેકની KYC એક જ રીતે કરવામાં આવતી હતી પરંતુ હવે ટૂંક સમયમાં જોખમ આધારિત KYC થશે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે નાણાકીય ક્ષેત્રના તમામ નિયમનકારોને ડિજિટલ ઈન્ડિયાની જરૂરિયાતો અનુસાર KYC સિસ્ટમ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વ્યક્તિઓની ઓળખ અને સરનામાને પ્રમાણિત કરવા માટે વન સ્ટોપ સોલ્યુશન સૂચવ્યું છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે વિવિધ સરકારી એજન્સીઓ, નિયમનકારો અને નિયમનકારી સંસ્થાઓને DigiLocker સેવા અને આધાર દ્વારા ઓળખ અને સરનામાને મેચ કરવા અને અપડેટ કરવા માટેનો વન-સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરવામાં આવશે.
DigiLocker એ ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. તેમાં ભારતીયોના ડેટા સ્ટોર છે. તે એક પ્રકારની ઓનલાઈન ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ પૂરી પાડતી સિસ્ટમ છે. જેના કારણે દરેક જગ્યાએ તમારા ડોક્યુમેન્ટ્સ લઈ જવાની ઝંઝટ પૂરી થઈ ગઈ છે. તમે તેની એપમાં આધારથી ડ્રાઇવિંગ લાયસન્સ જેવા મહત્વના દસ્તાવેજો રાખી શકો છો.