નાણા પ્રધાન નિર્મલા સીતારમણ શુક્રવાર, ડિસેમ્બર 6થી વિવિધ હિસ્સેદારો સાથે પૂર્વ-બજેટ પરામર્શ બેઠકો શરૂ કરશે. આ સમગ્ર પ્રોસેસના ભાગરૂપે નાણામંત્રી 6 ડિસેમ્બરે અગ્રણી અર્થશાસ્ત્રીઓને મળશે. ચાલુ નાણાકીય વર્ષ (2024-25)ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં જીડીપી સાત ક્વાર્ટરમાં સૌથી નીચો 5.4 ટકા હોવા વચ્ચે નાણામંત્રી આગામી વર્ષે રજૂ થનારા બજેટ અંગે તેમની પાસેથી સૂચનો લેશે. ). સૂત્રોએ જણાવ્યું કે આ પછી 7 ડિસેમ્બરે નાણામંત્રી ખેડૂતોના સંગઠનો, કૃષિ અર્થશાસ્ત્રીઓ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.
પ્રી-બજેટ પરામર્શ બેઠકો 30 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરે તેવી સંભાવના છે. નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારું આ સતત આઠમું બજેટ હશે. આ સાથે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું પૂર્ણ બજેટ હશે, જે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નીતિ દિશા પ્રદાન કરશે. પ્રિ-બજેટ પરામર્શ ભારતીય ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રો, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યના દિગ્ગજ નેતાઓ સાથે 30 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. સૂત્રોએ જણાવ્યું કે નાણામંત્રી લેબર ગ્રૂપ, ફાઇનાન્સિયલ સેક્ટર, સર્વિસ સેક્ટર વગેરે સાથે પણ બેઠક કરશે.
લોકસભા ચૂંટણીના કારણે આ વર્ષે બે વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.