ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ 8 એપ્રિલથી ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે. એટીએફના ભાવ બમણા થતાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટની ટિકિટ મોંઘી થશે. જાણો નવા દરો.
એર ઈન્ડિયાએ સંકેત આપ્યા છે કે ઈન્ટરનેશનલ રૂટ્સ પર પણ ફ્યુઅલ સરચાર્જમાં સુધારો કરવામાં આવ્યો છે. આથી વિદેશ જનારા મુસાફરોની ટિકિટ કિંમતોમાં પણ વધારો જોવા મળશે.
ટાટા ગ્રુપની માલિકીની એરલાઈન એર ઈન્ડિયાના મુસાફરો માટે એક માઠા સમાચાર છે. જો તમે પણ આગામી દિવસોમાં એર ઈન્ડિયામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે હવે વધારે ખિસ્સા ખાલી કરવા પડશે. કંપનીએ 8 એપ્રિલથી પોતાના ફ્યુઅલ સરચાર્જમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. જેના કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને રૂટ પર ટિકિટના ભાવ વધી જશે.
7 એપ્રિલે જાહેર કરાયેલા નિવેદન મુજબ, વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલની કિંમતોમાં થયેલા તોતિંગ વધારાને કારણે કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે.
જૂની બુકિંગ પર શું અસર થશે?
મુસાફરોની મૂંઝવણ દૂર કરતા કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોએ સમય મર્યાદા પહેલા જ પોતાની ટિકિટ બુક કરાવી લીધી છે, તેમના પર આ નવો સરચાર્જ લાગુ નહીં થાય. જોકે, જો કોઈ ગ્રાહક પોતાની મુસાફરીની તારીખ કે કાર્યક્રમમાં એવો કોઈ ફેરફાર કરાવે છે જેના લીધે નવેસરથી ભાડાની ગણતરી કરવી પડે, તો જ તેમને આ નવો ચાર્જ ચૂકવવો પડશે.
હવે કેવી રીતે લાગશે ફ્યુઅલ સરચાર્જ?
એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે ફ્લેટ રેટ (એકસરખો ચાર્જ) ની સિસ્ટમ હટાવી દીધી છે. હવે મુસાફરીના અંતરના આધારે નવો સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. સરકારે ATF ની કિંમતોમાં મહત્તમ 25% વધારાની મર્યાદા નક્કી કરી છે, જેને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો છે.
ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટેના નવા દરો
0 થી 500 કિમી: 299
501 થી 1,000 કિમી: 399
1,001 થી 1,500 કિમી: 549
1,501 થી 2,000 કિમી: 749
2,000 કિમીથી વધુ: 899
ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પણ પડશે અસર
એર ઈન્ડિયાએ સંકેત આપ્યા છે કે ઈન્ટરનેશનલ રૂટ્સ પર પણ ફ્યુઅલ સરચાર્જમાં સુધારો કરવામાં આવ્યો છે. આથી વિદેશ જનારા મુસાફરોની ટિકિટ કિંમતોમાં પણ વધારો જોવા મળશે.
જેટ ફ્યુઅલના ભાવમાં કેમ થયો ભડકો?
આંકડાઓ પર નજર કરીએ તો,,, 27 માર્ચ 2026 ના રોજ પૂરા થતા સપ્તાહમાં જેટ ફ્યુઅલની સરેરાશ વૈશ્વિક કિંમત ઉછળીને 195.19 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી. ફેબ્રુઆરીના અંતમાં આ કિંમત માત્ર 99.40 ડોલર પ્રતિ બેરલ હતી. એટલે કે, તેમાં લગભગ 100% નો જંગી વધારો નોંધાયો છે.
કાચા તેલને રિફાઈન કરીને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ બનાવવામાં આવે છે. તેના ભાવ વધવા પાછળ મુખ્ય બે કારણો છે: પહેલું કાચા તેલની કિંમતોમાં થયેલો વધારો અને બીજું રિફાઈનરી માર્જિન (જેને 'ક્રેક સ્પ્રેડ' કહેવાય છે) માં આવેલો ઉછાળો.