આગામી તહેવારોની સિઝનમાં ખાંડના ભાવમાં 15% સુધીનો વધારો નોંધાયો છે. ઉત્પાદનમાં ઘટાડો અને અલ નીનોની અસરને કારણે મોંઘવારી વધી. જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ અને તેના કારણો.
આ વર્ષે ખાંડના ઉત્પાદનમાં અંદાજ કરતા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં 293 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ રાખવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિક ઉત્પાદન માત્ર 280 લાખ ટન જ રહ્યું છે. એટલે કે ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો થયો છે.
Sugar Price Hike: આગામી તહેવારોની સિઝનમાં ગળ્યા પકવાનોનો સ્વાદ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં સરેરાશ 8 ટકાથી લઈને અમુક રાજ્યોમાં 15 ટકા સુધીનો અધધ વધારો જોવા મળ્યો છે. સરકારના સતત પ્રયાસો છતાં બજારમાં ખાંડ સતત મોંઘી થઈ રહી છે.
ઉત્પાદનમાં ઘટાડો બન્યું મુખ્ય કારણ
આ વર્ષે ખાંડના ઉત્પાદનમાં અંદાજ કરતા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં 293 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ રાખવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિક ઉત્પાદન માત્ર 280 લાખ ટન જ રહ્યું છે. એટલે કે ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો થયો છે.
દેશમાં ખાંડની વાર્ષિક ખપત પણ 280 લાખ ટનની છે. જોકે, રાહતની વાત માત્ર એટલી છે કે ગયા વર્ષનો 50 લાખ ટનનો જૂનો સ્ટોક હજુ દેશમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ વર્ષે અંદાજિત 8 લાખ ટન ખાંડની નિકાસ પણ કરવામાં આવી છે. જથ્થાબંધ બજારની વાત કરીએ તો, છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઉછાળો આવ્યો છે.
વિવિધ શહેરોમાં ખાંડના લેટેસ્ટ ભાવ
સરકારી આંકડાઓ પર નજર કરીએ તો દેશના મેટ્રો શહેરોમાં ખાંડના ભાવમાં મોટો ફરક જોવા મળ્યો છે,
દિલ્હી: એક મહિના પહેલા 45 રૂપિયા હતો, જે હવે વધીને 49 રૂપિયા થઈ ગયો છે.
પશ્ચિમ બંગાળ: 49 રૂપિયાથી વધીને 55 રૂપિયા પર પહોંચ્યો છે.
ચેન્નઈ: 46 રૂપિયાથી ઉછળીને 53 રૂપિયા થયો છે.
મુંબઈ: 46 રૂપિયાથી વધીને 52 રૂપિયા થઈ ગયો છે.
રાંચી: 47 રૂપિયાથી વધીને 51 રૂપિયા થઈ ગયો છે.
સુગર મિલો અને સરકારના પગલાં
ખાંડની વધતી કિંમતોને કાબુમાં લેવા માટે સરકારે સ્ટોક લિમિટ લાગુ કરી છે અને સાથે જ સુગર મિલોના સ્ટોકની કડક તપાસ પણ શરૂ કરી છે. છતાં અલ નીનોની અસર અને આવતા વર્ષે પણ ઉત્પાદન ઘટવાની આશંકાને પગલે ભાવ વધી રહ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા અને બજારમાં સપ્લાય વધારવા માટે સુગર મિલોએ આ વર્ષે 10 થી 15 દિવસ પહેલા જ શેરડીનું ક્રશિંગ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
સુગર કંપનીઓના નફામાં થશે વધારો
સામાન્ય ગ્રાહકો માટે ભલે આ સમાચાર ચિંતાજનક હોય, પરંતુ શેરબજારના રોકાણકારો અને સુગર કંપનીઓ માટે આ ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. ખાંડના ભાવ વધવાથી બલરામપુર ચીની, દ્વારિકેશ સુગર, શ્રી રેણુકા સુગર અને દાલમિયા ભારત સુગર જેવી કંપનીઓના નફા અને માર્જિનમાં મોટો વધારો થવાની સંભાવના છે.
ઇથેનોલ પ્રોગ્રામને લાગી શકે છે ઝટકો
આ સ્થિતિ સરકારના મહત્વાકાંક્ષી 'ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ' માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બજારમાં ખાંડના ઊંચા ભાવ મળતા હોવાથી, સુગર મિલો શેરડીમાંથી ઇથેનોલ બનાવવાને બદલે ડાયરેક્ટ ખાંડ વેચવાનું વધુ પસંદ કરશે. આનાથી દેશમાં ઇથેનોલના ઉત્પાદન પર નકારાત્મક અસર પડી શકે છે.