Share Market Crash: વૈશ્વિક બજારમાં ચાલી રહેલા હાહાકારની વચ્ચે ભારતીય શેરબજારમાં પણ જાણે ભૂકંપ આવી ગયો છે. કાચા તેલ (Crude Oil)ની કિંમતોમાં અચાનક આવેલી તેજીના કારણે માર્કેટ ખુલતાની સાથે જ રોકાણકારોના અંદાજે 9 લાખ કરોડ ડૂબી ગયા છે. ઘરેલુ ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 માં ભારે કડાકો જોવા મળ્યો છે.
શા માટે આવ્યો શેરબજારમાં કડાકો?
આ મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે ઘેરો બની રહેલો યુદ્ધનો ખતરો છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાના ડરથી ગલ્ફ દેશોએ કાચા તેલનું ઉત્પાદન ઘટાડી દીધું છે. જેના પરિણામે ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળ્યા છે અને તે પ્રતિ બેરલ $110ની સપાટી વટાવી ચૂક્યું છે. આ વૈશ્વિક ટેન્શનની સીધી અસર દુનિયાભરના શેરબજારો પર પડી રહી છે અને ભારતીય બજાર પણ તેમાંથી બાકાત નથી રહ્યું.
સેન્સેક્સ અને નિફ્ટીની હાલની સ્થિતિ
ભારતીય શેરબજારમાં આજે ચારેતરફ વેચવાલીનો માહોલ છે. નિફ્ટીના તમામ સેક્ટરના ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મોટા શેરોની સાથે સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે વેચવાલીનું દબાણ છે.
BSE સેન્સેક્સ: હાલમાં 1836.80 પોઇન્ટ (એટલે કે 2.33%) ના મોટા ઘટાડા સાથે 77,082.10 ના સ્તર પર પહોંચી ગયો છે.
નિફ્ટી 50: 551.85 પોઇન્ટ (એટલે કે 2.26%) ના ઘટાડા સાથે 23,898.60ના આંકડા પર ટ્રેડ કરી રહ્યો છે.
રોકાણકારોના 8.86 લાખ કરોડ સ્વાહા
બજારમાં આવેલા આ કડાકાએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા છે. એકંદરે વાત કરીએ તો, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 8.86 લાખ કરોડ જેટલું ઘટી ગયું છે. એક ટ્રેડિંગ દિવસ પહેલાં એટલે કે 6 માર્ચ 2026 ના રોજ BSE પર લિસ્ટેડ તમામ શેરોનું કુલ માર્કેટ કેપ 4,49,68,260.81 કરોડ હતું. આજે 9 માર્ચ 2026ના રોજ માર્કેટ ખુલતાની સાથે જ તે ઘટીને 4,40,81,309.70 કરોડ થઈ ગયું છે. આનો સીધો અર્થ એ છે કે ગણતરીની મિનિટોમાં રોકાણકારોની મૂડીમાંથી 886,951.11 કરોડ ધોવાઈ ગયા છે.
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ જ્યાં સુધી શાંત નહીં થાય અને ક્રૂડ ઓઈલના ભાવ નિયંત્રણમાં નહીં આવે, ત્યાં સુધી શેરબજારમાં આ પ્રકારની અસ્થિરતા જોવા મળી શકે છે. હાલમાં રોકાણકારોએ બજારની ચાલ પર બારીક નજર રાખવી જરૂરી બની ગઈ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.