ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન દ્વારા 12 ઓગસ્ટના રોજ અપાયેલા રાજીનામાની જાહેરાત ચર્ચાનો વિષય બની છે. તેમના આ નિર્ણય પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ ગ્રુપની અંદર ચાલી રહેલી લાંબી ખેંચતાણ અને અનિશ્ચિતતા જવાબદાર છે.
Tata Sons, N Chandrasekaran resignation: ટાટા ગ્રુપ ભારતનો સૌથી મોટો અને વિશ્વાસપાત્ર બિઝનેસ સમૂહ છે. શેરબજારમાં આ ગ્રુપની 30થી વધુ કંપનીઓ લિસ્ટેડ છે. જેમાં TCS, Titan, Tata Motors, Tata Power અને Tata Consumer જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓના શેરોમાં રોકાણ કરીને લાખો રોકાણકારોએ કમાણી કરી છે. પરંતુ તાજેતરમાં ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ‘ટાટા સન્સ'માંથી એક એવા સમાચાર આવ્યા છે, જેણે બિઝનેસ જગતને ચોંકાવી દીધું છે.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન દ્વારા 12 ઓગસ્ટના રોજ અપાયેલા રાજીનામાની જાહેરાત ચર્ચાનો વિષય બની છે. તેમના આ નિર્ણય પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ ગ્રુપની અંદર ચાલી રહેલી લાંબી ખેંચતાણ અને અનિશ્ચિતતા જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ત્રીજી વખત ચેરમેન બનાવવા અંગે જે અસમંજસ હતી, તેની સીધી અસર ગ્રુપના મોટા નિર્ણયો પર પડી રહી હતી.
ટાટા સન્સના કોર્પોરેટ સ્ટ્રક્ચર અને ગવર્નન્સનો વિવાદ
એન. ચંદ્રશેખરન અને ટાટા ટ્રસ્ટ્સ વચ્ચે કંપનીના ગવર્નન્સ અને મૂડી રોકાણના મુદ્દે લાંબા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા. આ ઉપરાંત, ટાટા સન્સના કોર્પોરેટ સ્ટ્રક્ચરને લઈને પણ બંને પક્ષો વચ્ચે ચર્ચા ગરમાઈ હતી. ઓગસ્ટના બીજા સપ્તાહમાં આ મતભેદો એવી હદે પહોંચી ગયા કે ચંદ્રશેખરને રાજીનામું આપવાનો આખરી નિર્ણય લેવો પડ્યો.
ત્રીજી ટર્મની નિમણૂકનો વિરોધ
ચંદ્રશેખરને પોતાના નિવેદનમાં જુલાઈ 2025ના ટાટા ટ્રસ્ટ્સના એક પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસ્તાવમાં તેમને વધુ 5 વર્ષ માટે ત્રીજી વખત ટાટા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવાની ભલામણ હતી. પરંતુ, ફેબ્રુઆરી 2026ની બોર્ડ મીટિંગમાં એક ડિરેક્ટરે આ પ્રસ્તાવનો ખુલ્લો વિરોધ કર્યો હતો. ત્યારથી આ મુદ્દો કોલ્ડ સ્ટોરેજમાં મુકાઈ ગયો હતો.
શેરબજારમાં લિસ્ટિંગ અંગેનું ભારે દબાણ
જુલાઈ 2025ના પ્રસ્તાવમાં એક શરત એ પણ હતી કે ચંદ્રશેખરને ટાટા સન્સને શેરબજારમાં ‘અનલિસ્ટેડ’ જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરવાના રહેશે. ભવિષ્યમાં ટાટા સન્સનું લિસ્ટિંગ થશે કે નહીં, તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી ચંદ્રશેખરન પર મોટું દબાણ હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 26 મે ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ચંદ્રશેખરન પાસે ટાટા સન્સના લિસ્ટિંગ અંગે તેમનો સ્પષ્ટ મત માંગ્યો હતો, પરંતુ તેમની તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
લિસ્ટિંગ થાય તો ટાટા ટ્રસ્ટ્સના અધિકારો છીનવાઈ જાય
ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સનો લગભગ 66% હિસ્સો છે અને હાલમાં ગ્રુપના તમામ મોટા નિર્ણયો ટાટા ટ્રસ્ટ્સ જ લે છે. બોર્ડમાં ડિરેક્ટર્સની નિમણૂક માટે પણ ટ્રસ્ટની મંજૂરી ફરજિયાત છે. જો ટાટા સન્સ શેરબજારમાં લિસ્ટ થઈ જાય, તો સેબીના નિયમો મુજબ ટાટા ટ્રસ્ટ્સના આ વિશેષ અધિકારો ખતમ થઈ શકે છે.
RBIના નિયમો અને ટાટા સન્સની સ્થિતિ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ટાટા સન્સને ‘અપર લેયર NBFC'ની કેટેગરીમાં મૂકી છે, જેના કારણે કંપનીએ કડક નિયમોનું પાલન કરવું પડે છે. જોકે, 6 ઓગસ્ટના રોજ RBI એ સ્પષ્ટ કર્યું હતું કે ટાટા સન્સે ડીરજિસ્ટ્રેશન માટે જે અરજી કરી છે, તેના પરિણામ સાથે અપર લેયર કેટેગરીમાં રહેવાનો કોઈ સીધો સંબંધ નથી. આ અરજી પર હજુ વિચારણા ચાલુ છે.
સરકાર સમક્ષ રજૂઆત અને આગામી પગલાં
17 ઓગસ્ટના અહેવાલો મુજબ, ચંદ્રશેખરન અને નોએલ ટાટા બંનેએ સરકાર સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ટાટા ગ્રુપના ભવિષ્યને લઈને સ્પષ્ટ દિશાનો અભાવ જોવા મળી રહ્યો છે. 18 ઓગસ્ટે યોજાનારી ટાટા સન્સની એન્અલ જનરલ મીટિંગમાં ચંદ્રશેખરનની પુનર્નિયુક્તિ અંગે અંતિમ નિર્ણય થવાનો છે. નોંધનીય છે કે, ચેરમેન તરીકે તેમનો બીજો કાર્યકાળ 20 ફેબ્રુઆરી 2027ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.
ટાટા ગ્રુપના શેરો પર દબાણની અસર
આ આંતરિક ખેંચતાણની સીધી અસર શેરબજાર પર જોવા મળી હતી. 18 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યાના આંકડા મુજબ ટાટાના મુખ્ય શેરોમાં ઘટાડો નોંધાયો હતો:
* TCS: 1.25% ઘટીને 2284 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.
* Titan: 0.38% ઘટીને 5049 રૂપિયા પર હતો.
* Tata Motors CV: 0.68%ના ઘટાડા સાથે 467 રૂપિયા પર જોવા મળ્યો હતો.
આમ, ટાટા ગ્રુપમાં હાલમાં મેનેજમેન્ટ અને કંટ્રોલને લઈને ચાલી રહેલી ખેંચતાણ આગામી દિવસોમાં કોર્પોરેટ જગતમાં મોટા ફેરફારો લાવી શકે છે. રોકાણકારો અને માર્કેટ નિષ્ણાતોની નજર ટાટા સન્સના આગામી નિર્ણયો પર ટકેલી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.