શિપરોકેટના 1,617.5 કરોડ રૂપિયાના ઈશ્યુમાં ફ્રેશ ઈશ્યુ અને ઓફર ફોર સેલ બંનેનો સમાવેશ થાય છે.કંપની 885.5 કરોડ રૂપિયાના નવા શેર (ફ્રેશ ઇશ્યૂ) બહાર પાડશે.
Shiprocket IPO: દેશભરમાં MSME, D2C બ્રાન્ડ્સ અને મોટા રિટેલર્સને ઈ-કોમર્સ સોલ્યુશન પૂરી પાડતી જાણીતી ટેક કંપની શિપરોકેટ પોતાનો IPO લાવી રહી છે. ગુરુગ્રામ સ્થિત આ કંપનીના આઈપીઓનું કુલ કદ 1,617.5 કરોડ રૂપિયા છે. કંપનીએ રોકાણકારો માટે શેરની પ્રાઇસ બેન્ડ 92 થી 97 રૂપિયા નક્કી કરી છે. જો અપર પ્રાઇસ બેન્ડ એટલે કે 97 રૂપિયાના આધારે જોઈએ, તો કંપનીનું કુલ વેલ્યુએશન 7,057.5 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. જો તમે પણ આ ટેક કંપનીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અરજી કરતા પહેલા આ મહત્વની માહિતી જરૂર જાણી લો.
Shiprocket IPO: ક્યારે કરી શકશો રોકાણ?
અહીં આઈપીઓ સાથે જોડાયેલી મહત્વની તારીખો અને લોટ સાઈઝની વિગતો આપી છે.
એન્કર રોકાણકારો માટે: 11 ઓગસ્ટ 2026
IPO ખુલવાની તારીખ: 12 ઓગસ્ટ 2026
IPO બંધ થવાની તારીખ: 14 ઓગસ્ટ 2026
લઘુત્તમ રોકાણ: રિટેલ રોકાણકારોએ 97 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે ઓછામાં ઓછા 14,938 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
શેર એલોટમેન્ટ તારીખ: 17 ઓગસ્ટ 2026
શેર લિસ્ટિંગ તારીખ: 19 ઓગસ્ટ 2026
ઇશ્યૂની સાઇઝ અને ઓફર ફોર સેલ
શિપરોકેટના 1,617.5 કરોડ રૂપિયાના ઈશ્યુમાં ફ્રેશ ઈશ્યુ અને ઓફર ફોર સેલ બંનેનો સમાવેશ થાય છે.કંપની 885.5 કરોડ રૂપિયાના નવા શેર (ફ્રેશ ઇશ્યૂ) બહાર પાડશે. આ સાથે જ હાલના પ્રમોટર્સ અને રોકાણકારો (જેમ કે- Lightrock, Tribe Capital, Moore Strategic Ventures, સાહિલ ગોયલ અને ગૌતમ કપૂર) OFS દ્વારા પોતાના 732 કરોડ રૂપિયાના શેર વેચશે. કંપનીએ પોતાના કર્મચારીઓને ફાયદો કરાવવા 1 કરોડ રૂપિયાના શેર રિઝર્વ રાખ્યા છે. કર્મચારીઓને ફાઈનલ ઇશ્યૂ પ્રાઇસ પર પ્રતિ શેર 9 રૂપિયાનું વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
કંપની આઈપીઓના પૈસાનો શું કરશે?
નવા શેર થકી મળેલા ફંડનો ઉપયોગ કંપની નીચે દર્શાવેલ કામો માટે કરશે.
365.6 કરોડ રૂપિયા: કંપની પોતાના પ્લેટફોર્મના વિકાસ અને વિસ્તરણ પાછળ ખર્ચ કરશે.
210 કરોડ રૂપિયા: કંપની પોતાનું જૂનું દેવું ચૂકવવા માટે વાપરશે. (અહીં નોંધવું રહ્યું કે 10 જુલાઈ 2026 સુધીમાં કંપની પર કુલ 244.5 કરોડ રૂપિયાનું દેવું હતું).
બાકીની રકમ: આ રકમનો ઉપયોગ અન્ય કંપનીઓ હસ્તગત કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે.
કેવી છે કંપનીની નાણાકીય સ્થિતિ ?
શિપરોકેટની કમાણીના આંકડાઓ મજબૂત રહ્યા છે. નાણાકીય વર્ષ 2026 (FY26) માં કંપનીની આવક વાર્ષિક ધોરણે 24% ઉછળીને 2,024.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જોકે, કંપની હજુ પણ નુકસાનમાં ચાલી રહી છે, પરંતુ રાહતની વાત એ છે કે આ નુકસાનમાં જંગી ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2024 માં કંપનીને 595.1 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન હતું, જે FY26 માં ઘટીને માત્ર 79.2 કરોડ રૂપિયા રહી ગયું છે.
આ IPO ના મર્ચન્ટ બેન્કર્સ તરીકે Axis Capital, BofA Securities India, JM Financial અને Kotak Mahindra Capital જવાબદારી સંભાળી રહ્યા છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.