ગુજરાતના અમદાવાદમાં આજે બપોરે એર ઇન્ડિયાનું લંડન-ગેટવિક જતું વિમાન AI171 ક્રેશ થયું, જેમાં ક્રૂ મેમ્બર્સ સહિત 91 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક થઈ, જેના કારણે શહેરમાં ભયનો માહોલ છવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને "દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ" ગણાવી, ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
CM ભૂપેન્દ્ર પટેલની તાત્કાલિક કાર્યવાહી
દુર્ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. તેમણે ઇજાગ્રસ્તોની મુલાકાત લઈ, તેમના સ્વાસ્થ્યની ખબર પૂછી અને ડોક્ટર્સ સાથે ચર્ચા કરી. CMએ રેસ્ક્યૂ અને રિલીફ ઓપરેશનને યુદ્ધના ધોરણે ઝડપી બનાવવા સૂચના આપી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા અને હોસ્પિટલોમાં પૂરતી મેડિકલ ફેસિલિટીની ખાતરી કરવા પણ નિર્દેશ આપ્યા.
ગુજરાત સરકારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. સંબંધિતો 079-232-51900 અને 9978405304 પર સંપર્ક કરી શકે છે. અસારવા સિવિલ હોસ્પિટલે ઇજાગ્રસ્તોની સારવાર અંગે માહિતી માટે બે હેલ્પલાઇન નંબર 6357373831 અને 6357373841 જાહેર કર્યા છે.