અમદાવાદ પ્લેન ક્રેશ: એકમાત્ર બચેલા વિશ્વાસ કુમારનો નવો વીડિયો વાઈરલ, મોતને માત આપીને આવ્યા બહાર | Moneycontrol Gujarati
Get App

અમદાવાદ પ્લેન ક્રેશ: એકમાત્ર બચેલા વિશ્વાસ કુમારનો નવો વીડિયો વાઈરલ, મોતને માત આપીને આવ્યા બહાર

અમદાવાદ પ્લેન ક્રેશની આ દુર્ઘટનાએ આખા દેશને શોકમાં ડુબાડી દીધો છે, પરંતુ વિશ્વાસ કુમાર રમેશનો બચાવ એક આશાનું કિરણ છે. તેમનો વાયરલ વીડિયો એક ચમત્કારની ગાથા છે, જે દુનિયાભરના લોકોના દિલમાં હિંમત અને આશા જગાવે છે. આ ઘટના ભવિષ્યમાં ઉડ્ડયન સુરક્ષા માટે મહત્ત્વના પગલાં લેવાની યાદ અપાવે છે.

અપડેટેડ 10:58:22 AM Jun 16, 2025 પર
Story continues below Advertisement
વાયરલ થયેલા આ વીડિયોમાં વિશ્વાસ કુમાર રમેશ ધડાકા બાદ વિમાનના ભંગારમાંથી બહાર નીકળતા દેખાય છે.

ગુજરાતના અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171ની ભયાનક દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી 241 લોકોનાં મોત થયાં, જ્યારે 40 વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ એકમાત્ર વ્યક્તિ છે જે આ આગના ગોળામાંથી જીવતા બહાર નીકળ્યા. હવે તેમનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ આગની જ્વાળાઓમાંથી ચાલતા બહાર આવતા જોવા મળે છે. આ દૃશ્ય ખરેખર કોઈ ચમત્કારથી ઓછું નથી.

વાયરલ વીડિયોમાં શું દેખાય છે?

વાયરલ થયેલા આ વીડિયોમાં વિશ્વાસ કુમાર રમેશ ધડાકા બાદ વિમાનના ભંગારમાંથી બહાર નીકળતા દેખાય છે. આગની લપટો અને ધુમાડાની વચ્ચે તેઓ પોતાના પગે ચાલીને બહાર આવે છે. આશ્ચર્યની વાત એ છે કે તેમના હાથમાં મોબાઇલ જેવું કંઈક દેખાય છે, જે આ ભયંકર ઘટનામાં પણ સલામત રહ્યું. વીડિયોમાં બિલ્ડિંગમાં ફેલાયેલી આગનું ભયાવહ દૃશ્ય પણ જોવા મળે છે, જે દાવાનળ જેવું લાગે છે. આવા મોટા બ્લાસ્ટમાંથી વિશ્વાસનો બચાવ થવો એ ચોંકાવનારી ઘટના છે.


વિશ્વાસ કુમારે શું કહ્યું?

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિશ્વાસ કુમાર રમેશે મીડિયા સાથે વાત કરતાં પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે જણાવ્યું, "મારી સીટ (11A) વિમાનના એ ભાગમાં હતી જે બિલ્ડિંગ સાથે અથડાઈ હશે. ઉપરના ભાગમાં આગ લાગી, જેના કારણે લોકો ફસાઈ ગયા. પણ હું કદાચ સીટ સાથે નીચે પડી ગયો. દરવાજો તૂટેલો હતો અને સામે થોડી ખાલી જગ્યા હતી, જેનો ફાયદો લઈને હું બહાર નીકળ્યો. બીજી બાજુ દીવાલ હતી, ત્યાંથી કોઈ બચી શક્યું નહીં. મારી આંખો સામે બે એર હોસ્ટેસ, એક વૃદ્ધ દંપતી અને બધું જ બળી રહ્યું હતું."

વિશ્વાસનો ડાબો હાથ દાઝી ગયો છે અને શરીર પર અનેક ઈજાઓ થઈ છે, પરંતુ તેમની હાલત હવે સ્થિર છે. તેમણે કહ્યું, "જો હું થોડી સેકન્ડ મોડો થયો હોત, તો હું પણ આ આગમાં ખાખ થઈ ગયો હોત."

વિશ્વાસનો બચાવ કેમ ચમત્કારિક?

વિશ્વાસ કુમારની સીટ 11A ઇમરજન્સી એક્ઝિટ રોમાં હતી, જે વિમાનના ડાબા પાંખની નજીક હતી. નિષ્ણાતોનું માનવું છે કે આ સીટ વિમાનના તે ભાગમાં હતી જે અથડામણ બાદ પ્રમાણમાં ઓછું નુકસાન પામ્યું. વિશ્વાસે તૂટેલા દરવાજામાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી લીધો, જ્યારે અન્ય મુસાફરો આગ અને ધુમાડામાં ફસાઈ ગયા. તેમના બચાવની ઘટના એવી છે જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો- ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટમાં, રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક

MoneyControl News

MoneyControl News

First Published: Jun 16, 2025 10:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.