Uttarakhand cloudburst: ઉત્તરાખંડના દેહરાદૂનમાં સોમવારે (15 સપ્ટેમ્બર 2025) મોડી રાત્રે સહસ્ત્રધારા નજીક કાર્લીગઢ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની. રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ભારે વરસાદને કારણે આ ઘટના ઘટી, જેના પરિણામે સ્થાનિક બજારમાં 7-8 દુકાનો ધરાશાયી થઈ ગઈ અને 2-3 મોટી હોટલોને નુકસાન થયું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ બે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.
રેસ્ક્યૂ અને બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્રએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ 100 લોકો ઘટનાસ્થળે ફસાયા હતા, જેમને સ્થાનિક ગ્રામજનોએ અને રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત રીતે બચાવી લીધા. SDRF, NDRF અને જાહેર બાંધકામ વિભાગે રાત્રે જ કામગીરી શરૂ કરી, અને નજીકના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.
ભારે વરસાદ અને ભૂસ્ખલનનો ખતરો
મંગળવારે સવારથી દેહરાદૂનમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો, જેના કારણે આઈટી પાર્ક નજીક કાટમાળ ધસી આવ્યો. આનાથી સોંગ નદીનું પાણીનું સ્તર ખૂબ વધી ગયું, જેના કારણે પોલીસે નદીકાંઠે રહેતા લોકોને ચેતવણી જારી કરી અને સુરક્ષિત સ્થળે જવા સૂચના આપી. મસૂરીમાં પણ મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું, અને મસૂરી-દેહરાદૂન રોડ પર પાની વાલા બેન્ડ નજીક ભૂસ્ખલનથી માર્ગ બંધ થઈ ગયો.
આ દુર્ઘટના બાદ દેહરાદૂનનું જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. IRS સિસ્ટમ સાથે જોડાયેલા તમામ વિભાગો સક્રિય થઈ ગયા છે. સ્થાનિક વહીવટી તંત્ર લોકોની સુરક્ષા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા સતત કામ કરી રહ્યું છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, વધુ નુકસાન ન થાય તે માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.