Dharmendra Death: હિન્દી સિનેમાના પીઢ અભિનેતા અને ચાહકોના પ્રિય ‘હીમેન’ ધર્મેન્દ્રએ 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે. લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા અભિનેતાએ આજે બપોરે 1 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સમગ્ર બોલીવુડ અને ચાહકોમાં શોકની લહેર છે.
વિલે પાર્લેમાં અંતિમ સંસ્કાર ધર્મેન્દ્રના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સહિત બોલીવુડની અનેક મોટી હસ્તીઓ અને દેઓલ પરિવાર ત્યાં હાજર છે. જોકે, પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
એક ચાહકથી સુપરસ્ટાર સુધીની સફર 8 December 1935 ના રોજ પંજાબમાં જન્મેલા ધરમ સિંહ દેઓલ (ધર્મેન્દ્ર)ના પિતા શાળાના મુખ્ય શિક્ષક હતા. બાળપણમાં સુરૈયાની ફિલ્મ "દિલ્લગી" જોઈને તેમને અભિનયનો એવો શોખ જાગ્યો કે તેમણે આ ફિલ્મ જોવા માટે માઈલો સુધી ચાલીને જઈને સતત 40 દિવસ સુધી તે ફિલ્મ જોઈ હતી.
ફિલ્મફેરના ટેલેન્ટ હન્ટમાં પસંદગી પામીને તેઓ મુંબઈ આવ્યા અને ત્યારબાદ જે ઈતિહાસ રચાયો તે સૌ જાણે છે. હિન્દી સિનેમામાં વર્ષો સુધી રાજ કરનાર આ અભિનેતાને 2012 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને ફિલ્મફેર લાઈફટાઈમ એચીવમેન્ટ અને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળેલા છે.
અધૂરું રહી ગયું સપનું 89 વર્ષની ઉંમરે પણ ધર્મેન્દ્ર કામ પ્રત્યે અડીખમ હતા. શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે "તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા" માં દેખાયા બાદ, તેમની "ઈક્કીસ", "મૈને પ્યાર કિયા ફિર સે" અને ફેમસ સિક્વલ "અપને 2" જેવી ફિલ્મો રિલીઝ થવાની બાકી છે, જે હવે તેમની યાદગીરી બની રહેશે.