એર ઈન્ડિયા અને વિસ્તારાના મર્જરથી બંને એરલાઈન્સના લગભગ 600 કર્મચારીઓને અસર થવાની ધારણા છે. જો કે, તેમને ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયા ગ્રૂપના અન્ય એકમોમાં નોકરી આપવાના પ્રયાસો કરવામાં આવશે. સૂત્રોએ આ જાણકારી આપી. ખોટ કરતી આ બંને એરલાઇન કંપનીઓ ટાટા ગ્રૂપની માલિકીની છે. તેમના કર્મચારીઓની કુલ સંખ્યા 23,000થી વધુ છે. ટાટા ગ્રુપ તેના ઉડ્ડયન વ્યવસાયને સુવ્યવસ્થિત કરવા માટે તેની એરલાઇન્સને મર્જ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે.
600 કર્મચારીઓને અસર થવાની આશંકા
મર્જરની પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, મર્જરની પ્રક્રિયા સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરની શરૂઆતમાં પૂર્ણ થવાની ધારણા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અસરગ્રસ્ત કર્મચારીઓની ચોક્કસ સંખ્યા જાણી શકાશે. આ અંગે એર ઈન્ડિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મર્જરની પ્રક્રિયાને અમલમાં મૂકવાના પ્રયાસો છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહ્યા છે. આ દરમિયાન એરલાઇન્સના કર્મચારીઓની પસંદગી તેમના પાછલા અનુભવ, પ્રદર્શન અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. જો કે, સૂત્રોએ સ્પષ્ટતા કરી હતી કે મર્જરની પ્રક્રિયાથી બંને એરલાઇન્સના ક્રૂ મેમ્બર અને પાઇલોટ પર કોઈ અસર થશે નહીં.