Trump Tariff: ટ્રંપના 25% ટેરિફથી ભારતીય એક્સપોટર્સમાં છટણીનો ડર, સરકાર સાથે વાતચીત | Moneycontrol Gujarati
Get App

Trump Tariff: ટ્રંપના 25% ટેરિફથી ભારતીય એક્સપોટર્સમાં છટણીનો ડર, સરકાર સાથે વાતચીત

Trump Tariff Indian Exports: આ ટેરિફની અસર ભારતના નિકાસ ઉદ્યોગ, ખાસ કરીને ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ સેક્ટર પર ઊંડી અસર કરી શકે છે. સરકારે આ મુદ્દે અમેરિકા સાથે વાતચીત શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. એક્સપોટર્સ ને આશા છે કે સરકારના હસ્તક્ષેપથી આર્થિક નુકસાન ઓછું થશે.

અપડેટેડ 10:59:14 AM Aug 04, 2025 પર
Story continues below Advertisement
7 ઓગસ્ટ પહેલાં મોકલાયેલ અને 5 ઓક્ટોબર, 2025 સુધી અમેરિકા પહોંચતી ભારતીય ચીજવસ્તુઓ પર માત્ર 10%નો બેઝિક ટેરિફ લાગશે.

Trump Tariff Indian Exports: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતીય ચીજવસ્તુઓ પર 25%નો વ્યાપક ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો છે, જેનાથી ભારતીય એક્સપોટર્સ માં મોટા પાયે છટણીનો ડર ફેલાયો છે. વ્હાઇટ હાઉસના એક એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, આ નવો ટેરિફ 7 ઓગસ્ટ 2025થી લાગુ થશે. આ ટેરિફ વિશ્વ વેપાર સંગઠનના હાલના ટેરિફ ઉપરાંત લાગશે, જોકે યુરોપિયન યુનિયનને ખાસ છૂટ આપવામાં આવી છે. ચીનને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, જેના પર 30% ટેરિફ યથાવત રહેશે. જોકે રશિયન ખરીદી માટે કોઈ દંડનો ઉલ્લેખ આ ઓર્ડરમાં નથી.

શું છે ટેરિફની વિગતો?

7 ઓગસ્ટ પહેલાં મોકલાયેલ અને 5 ઓક્ટોબર, 2025 સુધી અમેરિકા પહોંચતી ભારતીય ચીજવસ્તુઓ પર માત્ર 10%નો બેઝિક ટેરિફ લાગશે. જેમાં વાહનો, સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા ઉત્પાદનો પર પહેલાં જાહેર થયેલા પ્રાદેશિક ટેરિફ લાગશે. ફાર્મા, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો, ક્રૂડ ઓઇલ અને કોલસા જેવા ઉર્જા ઉત્પાદનોને હાલ ટેરિફમાંથી છૂટ આપવામાં આવી છે.

ભારતીય નિકાસ પર અસર

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના પ્રારંભિક અંદાજ મુજબ ભારતની ચીજવસ્તુઓનું નિકાસ નાણાકીય વર્ષ 2025માં 86.5 બિલિયન ડોલરથી 30% ઘટીને નાણાકીય વર્ષ 2026માં 60.6 બિલિયન ડોલર થઈ શકે છે. આ ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે ભારત અને અમેરિકા 1 ઓગસ્ટ 2025ની સમયમર્યાદા પહેલાં વચગાળાના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં નિષ્ફળ રહ્યાં. અમેરિકાની કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં વધુ બજાર પ્રવેશની માગણીએ આ કરારને અટકાવ્યો.


ટ્રંપનું બ્રિક્સ કનેક્શન

ટ્રંપે 25% ટેરિફ માટે ભારતની બ્રિક્સ સદસ્યતાને આંશિક રીતે જવાબદાર ગણાવી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે રશિયા સાથે ભારતના સંબંધો ભારત-અમેરિકા સંબંધોમાં ખટાશનું કારણ બન્યા છે. બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયે આ ટેરિફની સ્થિતિ પર સંયમિત પ્રતિક્રિયા આપી. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “ભારત અને અમેરિકાની ભાગીદારીએ અનેક ઉતાર-ચઢાવ અને પડકારોનો સામનો કર્યો છે. અમે બંને દેશોના પ્રતિબદ્ધ એજન્ડા પર ધ્યાન આપી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે આ સંબંધો આગળ વધશે.”

એક્સપોટર્સની ચિંતા અને સરકારનું સ્ટેપ

ભારતીય ગાર્મેન્ટ એક્સપોટર્સ એ ચિંતા વ્યક્ત કરી છે કે 25% ટેરિફના કારણે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં મોટા પાયે છટણી થઈ શકે છે. તેમણે સરકાર પાસે હસ્તક્ષેપની માગણી કરી છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) અને અન્ય નિકાસ પ્રમોશન કાઉન્સિલે બેઠકો યોજી અને આગામી સપ્તાહની શરૂઆતમાં વાણિજ્ય મંત્રાલયને પોતાની ભલામણો સોંપશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે વાણિજ્ય વિભાગ ટ્રંપના એક્ઝિક્યુટિવ ઓર્ડરનું નજીકથી મૂલ્યાંકન કરી રહ્યું છે અને ઉદ્યોગો તેમજ અન્ય હિતધારકો સાથે ચર્ચા કરી રહ્યું છે.

આ પણ વાંચો- Shibu Soren passed away: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, દિશોમ ગુરુએ દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 04, 2025 10:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.