રોઇટર્સના તાજેતરના સર્વે મુજબ, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર નહીં કરે.
RBI MPC: ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીનો નિર્ણય આ શુક્રવારે જાહેર થવા જઈ રહ્યો છે. હાલમાં કાચા તેલની વધતી કિંમતો, ભારતીય રૂપિયા પરનું દબાણ અને મોંઘવારીની ચિંતાઓ વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એક તરફ દેશના આર્થિક વિકાસને ગતિ આપવાની જરૂર છે, તો બીજી તરફ મોંઘવારીને કાબૂમાં રાખવાનો મોટો પડકાર છે.
રોઇટર્સના તાજેતરના સર્વે મુજબ, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI વ્યાજ દરોમાં કોઈ જ ફેરફાર નહીં કરે. જોકે, બજારના કેટલાક સંકેતો દર્શાવે છે કે રોકાણકારો વ્યાજ દરમાં વધારાની શક્યતા પણ જોઈ રહ્યા છે. ચાલો સમજીએ કે વ્યાજ દરો અંગેના 4 સંભવિત નિર્ણયો અને તેની બજાર પર શું અસર થઈ શકે છે.
1. જો વ્યાજ દરો યથાવત રહેશે તો શું થશે?
જો RBI રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરે, પરંતુ ભવિષ્યમાં કડક વલણ અપનાવવાનો સંકેત આપે, તો બજાર તેને ગંભીરતાથી લેશે. નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી રૂપિયા પર થોડું દબાણ આવી શકે છે. બોન્ડ માર્કેટમાં કોઈ મોટો બદલાવ નહીં આવે. શેરબજાર કદાચ આ નિર્ણય પર વધુ પ્રતિક્રિયા ન આપે, પરંતુ જો RBI મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરશે તો રોકાણકારો ભવિષ્યમાં દર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સતર્ક થઈ જશે.
2. જો રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થશે તો?
જો મધ્યસ્થ બેંક રેપો રેટમાં 0.25 ટકા (25 બેસિસ પોઈન્ટ) નો વધારો કરે છે, તો તેનો સીધો અર્થ એ થશે કે બેંક રૂપિયાને નબળો પડતો અટકાવવા માંગે છે. આ નિર્ણયથી ભારતીય રૂપિયાને મોટો ટેકો મળશે. સરકારી બોન્ડની યીલ્ડમાં સામાન્ય વધારો થશે. જોકે, શેરબજાર પર થોડું દબાણ આવી શકે છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ, બેન્કિંગ અને લોકોના ખર્ચ સાથે જોડાયેલા સેક્ટરમાં વેચવાલી જોવા મળી શકે છે.
3. વધારા સાથે કડક સંદેશ મળશે તો?
જો 0.25 ટકાના વધારા સાથે RBI ભવિષ્યમાં વધુ કડકાઈનો સ્પષ્ટ સંકેત આપે છે, તો બજારની પ્રતિક્રિયા એકદમ તેજ હોઈ શકે છે.રોકાણકારો આને એવા સંકેત તરીકે લેશે કે RBI હવે મોંઘવારી સામે આરપારની લડાઈના મૂડમાં છે. આનાથી રૂપિયો વધુ મજબૂત થશે અને બોન્ડ યીલ્ડમાં પણ ઉછાળો આવશે.
4. જો RBI કોઈ મોટું 'સરપ્રાઇઝ' આપે તો?
બહુ ઓછા લોકો 0.50 ટકાના વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ જો આવું મોટું સરપ્રાઇઝ મળે, તો બજારમાં મોટી ઉથલપાથલ મચી શકે છે. ડૉલર સામે રૂપિયો જબરદસ્ત મજબૂત થશે. જોકે, બોન્ડ માર્કેટ અને શેરબજાર માટે આ મોટો ઝટકો સાબિત થશે. રોકાણકારોએ ઊંચા વ્યાજ દરોના હિસાબે પોતાના રોકાણનું ફરીથી મૂલ્યાંકન કરવું પડશે, જેના કારણે શેરબજારમાં ભારે વેચવાલી આવી શકે છે.