IDFC First Bank: હરિયાણા સરકારના 556 કરોડ પરત મળતા શેરમાં તેજી, CM સૈનીએ વિધાનસભામાં આપી માહિતી
IDFC First Bank માં થયેલા ફ્રોડ બાદ રોકાણકારો માટે રાહતના સમાચાર. હરિયાણાના મુખ્યમંત્રીએ જણાવ્યું કે બેંક પાસેથી 556 કરોડ રૂપિયા રિકવર કરી લેવાયા છે. આ સમાચાર બાદ તૂટેલા શેરમાં ફરી તેજી જોવા મળી છે.
સરકારને મળેલી માહિતી મુજબ, આ ફ્રોડ બેંકની ચંદીગઢ સ્થિત એક બ્રાન્ચમાં થયું હતું. આ કૌભાંડમાં બેંકના મિડલ અને લોઅર લેવલના 4 થી 5 કર્મચારીઓ સામેલ હતા.
IDFC First Bank Stock : છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહેલી IDFC First Bank ના રોકાણકારો માટે મંગળવારે બપોર પછી રાહતના સમાચાર આવ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ વિધાનસભામાં મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બેંક પાસેથી 556 કરોડ રૂપિયા સફળતાપૂર્વક રિકવર કરી લીધા છે. આ સમાચાર મળતા જ બેંકના શેરમાં જોવા મળતો ભારે ઘટાડો અટક્યો હતો અને શેરમાં રિકવરી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, 23 ફેબ્રુઆરીના રોજ બેંકમાં ફ્રોડના સમાચાર આવતા જ શેર 16% જેટલો ક્રેેશ થઈ ગયો હતો. જોકે, હવે પૈસા પરત મળવાની ખાતરી થતા રોકાણકારોમાં ફરી વિશ્વાસ બંધાયો છે.
CM ના નિવેદન બાદ શેરમાં યુ-ટર્ન
IDFC First Bank દ્વારા 22 ફેબ્રુઆરીએ ખુલાસો કરવામાં આવ્યો હતો કે બેંકમાં 590 કરોડ રૂપિયાનું ફ્રોડ પકડાયું છે, જે હરિયાણા સરકારના ખાતા સાથે જોડાયેલું હતું. આ સમાચાર બાદ 23 અને 24 ફેબ્રુઆરીની સવારે શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.
પરંતુ, જ્યારે મુખ્યમંત્રી સૈનીએ વિધાનસભામાં સ્પષ્ટતા કરી કે પૈસા પાછા આવી ગયા છે, ત્યારે શેરના ભાવમાં સુધારો થયો હતો. બપોરે 3:15 વાગ્યાની આસપાસ બેંકનો શેર 1.76% વધીને 71.81 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
24 કલાકમાં વ્યાજ સહિત પૈસા પરત
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સદનમાં માહિતી આપતા કહ્યું હતું કે, "હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હરિયાણા સરકારના જમા પૈસા ફરીથી બેંક એકાઉન્ટમાં આવી ગયા છે. આ રિકવરી માત્ર 24 કલાકની અંદર કરવામાં આવી છે."
મળતી માહિતી મુજબ, પરત મળેલ રકમમાં મૂળ રકમ ઉપરાંત લગભગ 22 કરોડ રૂપિયા વ્યાજના પણ છે. આમ કુલ મળીને સરકારે 556 કરોડ રૂપિયા રિકવર કર્યા છે.
કોણે કર્યું હતું આ કૌભાંડ?
સરકારને મળેલી માહિતી મુજબ, આ ફ્રોડ બેંકની ચંદીગઢ સ્થિત એક બ્રાન્ચમાં થયું હતું. આ કૌભાંડમાં બેંકના મિડલ અને લોઅર લેવલના 4 થી 5 કર્મચારીઓ સામેલ હતા. આ કર્મચારીઓએ બહારના કેટલાક લોકો સાથે મળીને આ ફ્રોડને અંજામ આપ્યો હતો. બેંકે તાત્કાલિક અસરથી સંડોવાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
તપાસ માટે કમિટીની રચના
સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આ મામલે જે કોઈ પણ દોષિત હશે, પછી તે બેંકના કર્મચારી હોય કે સરકારી અધિકારી, કોઈને પણ છોડવામાં આવશે નહીં.
23 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીએ આ મામલે સ્ટેટ એન્ટી-કરપ્શન બ્યુરો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. વધુમાં, સમગ્ર મામલાની તપાસ માટે ફાઇનાન્સ સેક્રેટરીની અધ્યક્ષતામાં એક ખાસ કમિટી પણ બનાવવામાં આવી છે.