મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયોએ પોતાની શાનદાર સફળતાના 10 વર્ષ પૂરા કર્યા છે. આજે જિયો ભારતની ડિજિટલ અને AI ક્રાંતિનું મુખ્ય ચાલકબળ બની ગયું છે.
Reliance AGM 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સાધારણ સભા શરૂ થઈ ગઈ છે. ચેરમેન મુકેશ અંબાણી શેરધારકોને સંબોધિત કરી રહ્યા છે. દેશના આખા શેરબજાર અને રોકાણકારોની નજર આજની આ મેગા ઇવેન્ટ પર ટકેલી છે. ખાસ કરીને કંપનીના ફ્યુચર પ્લાન અને નવા બિઝનેસ ગ્રોથ વિશે સૌ કોઈ જાણવા આતુર છે.
FY26 માં કંપનીનો રેકોર્ડબ્રેક નફો
મુકેશ અંબાણીએ ગર્વ સાથે જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2026માં રિલાયન્સે અત્યાર સુધીની સૌથી વધુ આવક, રેકોર્ડબ્રેક એબિટડા અને સૌથી વધુ ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
તેમણે જણાવ્યું કે કંપનીનો પાયો એકદમ મજબૂત છે અને તેની વ્યૂહરચના સ્પષ્ટ છે. રિલાયન્સનો સૌથી મોટો અને મજબૂત ગ્રોથ ફેઝ હજુ આવવાનો બાકી છે. કંપની હવે એક લીડિંગ ડીપ-ટેક અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે ઉભરી રહી છે, અને ભવિષ્યના વિકાસને વેગ આપવા માટે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જંગી રોકાણ કરી રહી છે.
Jio અને રિલાયન્સ રિટેલની ઐતિહાસિક સફર
મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયોએ પોતાની શાનદાર સફળતાના 10 વર્ષ પૂરા કર્યા છે. આજે જિયો ભારતની ડિજિટલ અને AI ક્રાંતિનું મુખ્ય ચાલકબળ બની ગયું છે. બીજી તરફ, રિલાયન્સ રિટેલે પણ 20 વર્ષની શાનદાર સફર પૂર્ણ કરી છે અને દેશમાં ઓર્ગેનાઇઝ્ડ રિટેલ ક્રાંતિ લાવી છે. બંને બિઝનેસ આજે પોતાના ક્ષેત્રમાં મોખરે છે.
રોકાણકારોની નજર આ 4 મુખ્ય મુદ્દાઓ પર રહેશે
Jio અને રિટેલનો IPO: બજારને જિયો પ્લેટફોર્મ્સ અને રિલાયન્સ રિટેલના લિસ્ટિંગ પ્લાન વિશે કોઈ મોટી જાહેરાત અથવા ટાઈમલાઈન મળવાની પૂરી આશા છે.
AI અને ડેટા સેન્ટર: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર રિલાયન્સનું ખૂબ મોટું ફોકસ છે. તાજેતરમાં જ મેટા સાથે મળીને જામનગરમાં 168 MWનો આધુનિક AI ડેટા સેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. રોકાણકારો આ દિશામાં નવા કરારો વિશે જાણવા માંગે છે.
ન્યૂ એનર્જી બિઝનેસ: કંપનીના કચ્છ એનર્જી કોમ્પ્લેક્સ, સોલાર મેન્યુફેક્ચરિંગ, બેટરી સ્ટોરેજ અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટના કામકાજના લેટેસ્ટ અપડેટ્સ પર સૌની નજર છે.
O2C અને પેટ્રોકેમિકલ: FY26 માં માર્જિન પ્રેશર હોવા છતાં ઓઇલ-ટુ-કેમિકલ્સ અને ઓઇલ એન્ડ ગેસ બિઝનેસના ફ્યુચર આઉટલુક પર પણ રોકાણકારો ધ્યાન રાખી રહ્યા છે.
ઊર્જા અને AI માં આત્મનિર્ભરતા એ રાષ્ટ્રીય મિશન
અંબાણીએ કહ્યું કે છેલ્લા 6 વર્ષ કોવિડ અને ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવના કારણે ખૂબ જ પડકારજનક રહ્યા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારત આ તમામ વૈશ્વિક અસ્થિરતાનો સામનો કરીને વધુ મજબૂત બનીને ઉભર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશ માટે ઊર્જા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનવું હવે એક રાષ્ટ્રીય મિશન હોવું જોઈએ.
રિલાયન્સ પોતાના ટેલિકોમ ટેરિફ, ડિવિડન્ડ અને બેલેન્સ શીટને લઈને જે પણ જાહેરાતો કરશે, તેની સીધી અસર આગામી દિવસોમાં શેરબજારની ચાલ પર જોવા મળશે.