China FDI Policy: ચીન માટે ભારતના દરવાજા ફરી ખુલશે? સરકાર FDI નિયમો હળવા કરવા પર કરી રહી છે વિચાર
India China FDI News: શું ચીની કંપનીઓ ભારતમાં ફરી રોકાણ કરી શકશે? સરકાર 2020 ના કડક નિયમોમાં છૂટછાટ આપવા વિચારી રહી છે. જાણો નાના રોકાણકારો માટે શું છે નવો પ્લાન અને સુરક્ષા અંગે સરકારનું વલણ.
અત્યારે નિયમ એવો છે કે પડોશી દેશોમાંથી આવતા દરેક નાના-મોટા રોકાણ પ્રસ્તાવને ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા ઝીણવટભરી તપાસમાંથી પસાર થવું પડે છે.
India China FDI News: ભારત અને ચીન વચ્ચેના વ્યાપારી સંબંધોમાં એક મોટો વળાંક આવી શકે છે. સીમા પર તણાવ ઓછો થયા બાદ હવે ભારત સરકાર ચીન જેવા પડોશી દેશો માટે રોકાણના નિયમો હળવા કરવા પર વિચાર કરી રહી છે. જો આ નિર્ણય લેવામાં આવશે, તો તેને ડ્રેગન એટલે કે ચીન માટે એક મોટી રાહત માનવામાં આવશે. સરકાર અત્યારે ‘પ્રેસ નોટ 3’ ના નિયમોમાં ફેરફાર કરવા માટે મંથન કરી રહી છે, જેથી નાના રોકાણો માટે મંજૂરીની પ્રક્રિયા સરળ બની શકે.
શા માટે કડક કરવામાં આવ્યા હતા નિયમો?
વાત એપ્રિલ 2020 ની છે, જ્યારે કોરોના મહામારી ચાલી રહી હતી. તે સમયે ભારત સરકારે ‘પ્રેસ નોટ 3’ બહાર પાડી હતી. આ નિયમ મુજબ, ભારત સાથે જમીની સરહદ ધરાવતા કોઈપણ દેશ (જેમ કે ચીન) એ ભારતમાં રોકાણ કરતા પહેલા સરકારની મંજૂરી લેવી ફરજિયાત હતી.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મહામારીના સમયમાં ભારતીય કંપનીઓની નબળી સ્થિતિનો લાભ ઉઠાવીને ચીની કંપનીઓ તેમને ખરીદી ન લે (Hostile Takeover). આ પગલાને સીધો ચીનને ટાર્ગેટ કરતો માનવામાં આવ્યો હતો.
સરકાર હવે શું ફેરફાર કરવા વિચારે છે?
હવે સરકાર આ કડક નિયમોને થોડા હળવા કરવાનું વિચારી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, એક નવી વ્યવસ્થા જેને 'De Minimis' (લઘુત્તમ મર્યાદા) કહેવાય છે, તે લાગુ કરવામાં આવી શકે છે.
ઓટોમેટિક મંજૂરી: આ ફેરફાર હેઠળ, એક ચોક્કસ મર્યાદાથી ઓછું રોકાણ હોય તો તેને સરકારની મંજૂરી માટે રાહ જોવી પડશે નહીં. તેને ‘ઓટોમેટિક રૂટ’ દ્વારા મંજૂરી મળી જશે.
નાના રોકાણોને ફાયદો: આનો હેતુ એ છે કે જે સેક્ટરમાં સંવેદનશીલ ટેકનોલોજી નથી અને માત્ર ફંડની જરૂર છે, ત્યાં રોકાણ ઝડપથી આવી શકે.
સમયનો બચાવ: હાલમાં દરેક કેસની અલગથી તપાસ થાય છે, જેમાં ઘણો સમય લાગે છે. નવા નિયમથી આ સમય બચશે.
અધિકારીઓનું શું કહેવું છે?
એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, સરકાર એવી વ્યવસ્થા કરવા માંગે છે જેનાથી રોકાણ માટે ‘હા’ કે ‘ના’ નો જવાબ ઝડપથી મળી શકે. તેઓ તપાસ કરી રહ્યા છે કે શું કોઈ ચોક્કસ રકમ અથવા ઓનરશિપ પર્સેન્ટેજ નક્કી કરી શકાય, જેનાથી નીચેના રોકાણોને સરળતાથી મંજૂરી આપી શકાય. જોકે, આ છૂટછાટ આપતી વખતે રાષ્ટ્રીય સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
હાલની પ્રક્રિયા શું છે?
અત્યારે નિયમ એવો છે કે પડોશી દેશોમાંથી આવતા દરેક નાના-મોટા રોકાણ પ્રસ્તાવને ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા ઝીણવટભરી તપાસમાંથી પસાર થવું પડે છે. જો ગુપ્તચર એજન્સીઓ તરફથી કોઈ નેગેટિવ રિપોર્ટ આવે, તો રોકાણ અટકાવી દેવામાં આવે છે. ખાસ કરીને એવા પ્રસ્તાવો પર ચાંપતી નજર રાખવામાં આવે છે જેનો સંબંધ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી કે ત્યાંની સેના સાથે હોય.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ‘પ્રેસ નોટ 3’ ને સંપૂર્ણપણે રદ કરવામાં નહીં આવે, પરંતુ માત્ર પ્રક્રિયાને થોડી સરળ બનાવવામાં આવશે. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ભારતના મહત્વના સેક્ટર્સ પર કોઈનો કબજો ન થઈ જાય.
સુધરી રહ્યા છે ભારત-ચીન સંબંધો
છેલ્લા એક વર્ષમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે. બંને દેશો વચ્ચે મંત્રીસ્તરીય મુલાકાતો શરૂ થઈ છે અને સીમા વિવાદ ઉકેલવા પર વાતચીત વધી છે. તાજેતરમાં જ સરકારે સંસદમાં માહિતી આપી હતી કે ‘મેક ઈન ઈન્ડિયા' ને વેગ આપવા માટે ચીની એન્જિનિયરો અને ટેકનિકલ નિષ્ણાતોને બિઝનેસ વિઝા આપવામાં આવી રહ્યા છે.
ઉદ્યોગ જગત પણ લાંબા સમયથી માંગ કરી રહ્યું હતું કે મંજૂરીની પ્રક્રિયા ખૂબ ધીમી છે, જેના કારણે નાના રોકાણો પણ અટકી પડે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર સુરક્ષા અને આર્થિક જરૂરિયાતો વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે.