ભારત-UK ડીલ: હવે બ્રિટનની કાર અને સ્કોચ વ્હિસ્કી થશે સસ્તી, એપ્રિલ 2026થી લાગુ થઈ શકે છે નવો કરાર
India UK FTA: ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) એપ્રિલ 2026માં લાગુ થવાની શક્યતા છે. આ ડીલથી સ્કોચ વ્હિસ્કી અને કાર પરના ટેક્સમાં મોટો ઘટાડો થશે. જાણો વિગતો.
ભારતને બ્રિટનના માર્કેટમાં ટેક્સટાઈલ (કાપડ), ફૂટવેર, જેમ્સ એન્ડ જ્વેલરી, સ્પોર્ટ્સ ગુડ્સ અને રમકડાં જેવા સેક્ટરમાં વધારે એક્સેસ મળશે.
India UK FTA: ભારત અને યુનાઇટેડ કિંગડમ (UK) વચ્ચેના વેપાર સંબંધોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જોયા બાદ, ભારત અને બ્રિટન વચ્ચેનો 'મુક્ત વેપાર કરાર' એપ્રિલ 2026માં લાગુ થવાની પ્રબળ શક્યતા છે. આ કરાર લાગુ થતાની સાથે જ ભારતીય ગ્રાહકો માટે બ્રિટનની પ્રખ્યાત સ્કોચ વ્હિસ્કી અને લક્ઝરી કાર સસ્તી થઈ જશે.
એપ્રિલ 2026થી લાગુ થવાની આશા
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી છે કે આ સમજૂતી એપ્રિલ મહિનામાં અમલમાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, ભારત અને બ્રિટને 24 જુલાઈ, 2025ના રોજ 'કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ' (CETA) પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ ભારતના 99 ટકા જેટલા ઉત્પાદનો હવે ઝીરો ડ્યુટી (કોઈપણ ટેક્સ વગર) પર બ્રિટનમાં મોકલી શકાશે.
સ્કોચ વ્હિસ્કી અને કારના ભાવમાં થશે ઘટાડો
આ કરારની સૌથી મોટી અસર મોંઘી દારૂ અને ગાડીઓના શોખીનો માટે ફાયદાકારક સાબિત થશે.
સ્કોચ વ્હિસ્કી: કરાર લાગુ થતાની સાથે જ બ્રિટનથી આવતી સ્કોચ વ્હિસ્કી પરનો ઈમ્પોર્ટ ટેરિફ (આયાત કર) 150 ટકાથી ઘટાડીને સીધો 75 ટકા કરી દેવામાં આવશે. ભવિષ્યમાં એટલે કે 2035 સુધીમાં તેને ઘટાડીને 40 ટકા સુધી લઈ જવાની યોજના છે.
ઓટોમોબાઈલ (કાર): કાર પર પણ મોટી રાહત મળશે. ભારત ધીરે-ધીરે લિબરાઈઝડ કોટા સિસ્ટમ હેઠળ 5 વર્ષના સમયગાળામાં ઈમ્પોર્ટ ડ્યુટીને હાલના 110 ટકાથી ઘટાડીને માત્ર 10 ટકા કરી દેશે.
ભારતને શું ફાયદો થશે?
આ માત્ર એકતરફી ફાયદો નથી, પરંતુ ભારતીય વેપારીઓ માટે પણ યુકેના દરવાજા ખુલી જશે. ભારતને બ્રિટનના માર્કેટમાં ટેક્સટાઈલ (કાપડ), ફૂટવેર, જેમ્સ એન્ડ જ્વેલરી, સ્પોર્ટ્સ ગુડ્સ અને રમકડાં જેવા સેક્ટરમાં વધારે એક્સેસ મળશે. સામે પક્ષે, ભારતે બ્રિટન માટે ચોકલેટ, બિસ્કિટ અને કોસ્મેટિક્સ જેવા કન્ઝ્યુમર ગુડ્સ માટે પોતાનું માર્કેટ ખોલ્યું છે. ભારતીય મેન્યુફેક્ચરર્સને કોટા ફ્રેમવર્ક હેઠળ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનો માટે પણ યુકેના માર્કેટમાં એન્ટ્રી મળશે.
વ્યાપાર બમણો કરવાનો લક્ષ્યાંક
CETA નો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને બ્રિટન વચ્ચેના વર્તમાન 56 અરબ ડોલરના વેપારને 2030 સુધીમાં બમણો કરવાનો છે. આ ઉપરાંત, બંને દેશોએ ‘ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન' (DCC) પર પણ સાઈન કરી છે. આનાથી બંને દેશોમાં કામ કરતા હંગામી કર્મચારીઓને એક જ પ્રકારના સામાજિક કર (Social Security Tax) બે વાર ભરવા નહીં પડે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કરારને લાગુ કરતા પહેલા યુકેની સંસદ અને ભારતમાં યુનિયન કેબિનેટની મંજૂરી લેવી જરૂરી છે. યુકેની સંસદમાંથી લીલી ઝંડી મળ્યા બાદ પરસ્પર સંમતિથી નક્કી કરેલી તારીખે (સંભવતઃ એપ્રિલ 2026) આ કરાર લાગુ કરવામાં આવશે.