રાજપાલ યાદવને મોટી રાહત: કોર્ટની ડેડલાઈન પહેલા જમા કરાવ્યા કરોડો રૂપિયા, ચેક બાઉન્સ કેસમાં મળ્યા જામીન
ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા રાજપાલ યાદવને આખરે જામીન મળી ગયા છે. દિલ્હી હાઈકોર્ટે આપેલી 3 વાગ્યા સુધીની ડેડલાઈનમાં એક્ટરે 2.5 કરોડ રૂપિયા જમા કરાવતા જેલમાંથી મુક્તિનો માર્ગ મોકળો થયો છે.
રાજપાલ યાદવ આ ડેડલાઈન પૂરી કરવામાં સફળ રહ્યા હતા. 3 વાગ્યા પહેલા જ તેમણે કોર્ટમાં રકમ જમા કરાવી દીધી હતી, જેના કારણે તેમને વચગાળાના જામીન મળી શક્યા હતા.
બોલીવુડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવ અને તેમના ચાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચેક બાઉન્સ કેસમાં કાયદાકીય લડત લડી રહેલા અભિનેતાને આખરે જામીન મળી ગયા છે. દિલ્હી હાઈકોર્ટના આદેશનું પાલન કરતા રાજપાલ યાદવે કોર્ટમાં જંગી રકમ જમા કરાવી દીધી છે, જેના બદલામાં તેમને આ રાહત મળી છે.
3 વાગ્યા સુધીનું હતું અલ્ટીમેટમ
આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન એક હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રાજપાલ યાદવ પાસે સમય ખૂબ ઓછો હતો. દિલ્હી હાઈકોર્ટે અભિનેતાના વકીલને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપ્યું હતું કે, બપોરે 3 વાગ્યા સુધીમાં 1.5 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવો પડશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો નિયત સમયમર્યાદામાં પૈસા જમા નહીં થાય, તો એક્ટરને છોડવામાં નહીં આવે.
જોકે, રાજપાલ યાદવ આ 'ડેડલાઈન' પૂરી કરવામાં સફળ રહ્યા હતા. 3 વાગ્યા પહેલા જ તેમણે કોર્ટમાં રકમ જમા કરાવી દીધી હતી, જેના કારણે તેમને વચગાળાના જામીન મળી શક્યા હતા.
કુલ કેટલા રૂપિયા જમા કરાવ્યા?
કોર્ટના રેકોર્ડ મુજબ, રાજપાલ યાદવે કુલ 2.5 કરોડ (અઢી કરોડ) રૂપિયા જમા કરાવ્યા છે. 75 લાખ રૂપિયા અગાઉ જમા કરાવવામાં આવ્યા હતા. 1 કરોડ 75 લાખ રૂપિયા આજે કોર્ટમાં જમા કરાવવામાં આવ્યા છે. આમ, કુલ રકમ જમા થતાં કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
શું હતો આખો મામલો?
આ વિવાદ આજકાલનો નથી, પણ વર્ષ 2010નો છે. રાજપાલ યાદવે ડાયરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ 'અતા પતા લાપતા' બનાવવા માટે દિલ્હી સ્થિત 'મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ' પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ અને રાજપાલ યાદવ પૈસા ચૂકવી શક્યા નહીં.
લોનની ભરપાઈ માટે તેમણે જે સાત ચેક આપ્યા હતા તે તમામ બાઉન્સ થયા હતા. આ પછી મામલો કોર્ટમાં પહોંચ્યો અને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ક્રિમિનલ કેસ બન્યો.
સરેન્ડર કરવાનો આવ્યો હતો આદેશ
એપ્રિલ 2018માં મેજિસ્ટ્રેટ કોર્ટે રાજપાલ યાદવ અને તેમના પત્ની રાધાને દોષિત ઠેરવીને 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે જૂન 2024માં કોર્ટે તેમને પૈસા ચૂકવવા માટે સમય આપ્યો હતો. જોકે, વારંવાર વચન આપવા છતાં પૈસા ન ચૂકવાતા આખરે 2 ફેબ્રુઆરીએ કોર્ટે તેમને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.
આ પહેલા સરેન્ડર કરતી વખતે રાજપાલ યાદવે મીડિયા સામે પોતાની લાચારી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "સાહેબ, શું કરું? મારી પાસે પૈસા નથી અને બીજો કોઈ રસ્તો દેખાતો નથી." જોકે, હવે પૈસાની વ્યવસ્થા થઈ જતા એક્ટરને મોટી રાહત મળી છે.