1 જુલાઈથી વેપારીઓ માટે ખુશખબર! સરકારે 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183.50 નો મોટો ઘટાડો કર્યો છે. જાણો દેશના મોટા શહેરોના આજના લેટેસ્ટ રેટ.
એલપીજીના ભાવમાં ફેરફારની સાથે જ કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલની નિકાસ (Export) પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી પણ વધારી દીધી છે.
LPG Price Today : જુલાઈ મહિનાની શરૂઆતમાં જ હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાય ચલાવતા વેપારીઓ માટે એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. સરકારે મહિનાની પહેલી તારીખે (1 જુલાઈ) 19 કિલો વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 183.50 રૂપિયાનો મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ નવા ઘટાડા બાદ દેશના અલગ-અલગ શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
જોકે, સામાન્ય નાગરિકોની વાત કરીએ તો, ઘરગથ્થુ રસોઈમાં વપરાતા 14.2 કિલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેના ભાવ અગાઉ મુજબ જ સ્થિર છે.
દેશના મોટા શહેરોમાં આજના લેટેસ્ટ રેટ શું છે?
આજના લેટેસ્ટ ફેરફાર બાદ, દેશના મુખ્ય શહેરોમાં 19 કિલો વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ નીચે મુજબ છે.
દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે ઘટીને 2,930 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 3,113.50 રૂપિયા હતી.
લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સિલિન્ડરનો રેટ 3,236 રૂપિયાથી ઘટીને હવે 3,052.50 રૂપિયા પર આવી ગયો છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાં તેની કિંમત 3,255.50 રૂપિયાથી ઘટીને 3,081.50 રૂપિયા થઈ છે.
પટના: બિહારની રાજધાની પટનામાં હવે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર માટે 3,227 રૂપિયા ચૂકવવા પડશે.
વર્ષ 2026 માં પહેલીવાર ઘટ્યા ભાવ
વર્ષ 2026 ની વાત કરીએ તો, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આ વર્ષનો આ પહેલો ઘટાડો છે. આ પહેલાં વર્ષના શરૂઆતી મહિનાઓમાં સિલિન્ડરના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા હતા.
વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં 19 કિલો વાળા સિલિન્ડરની કિંમત 1,691.50 રૂપિયા હતી. માર્ચ મહિનામાં જ બે વાર ભાવ વધ્યા હતા (1 માર્ચે 28 રૂપિયા અને 7 માર્ચે 114.50 રૂપિયાનો વધારો). મે મહિનામાં તો ભાવ વધારાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, જ્યારે એકસાથે 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો. જેના કારણે દિલ્હીમાં ભાવ 3,071.50 રૂપિયા પહોંચી ગયો હતો. ત્યારબાદ 1 જૂનના રોજ પણ તેમાં વધુ 42 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલની નિકાસ પર ટેક્સ વધ્યો
એલપીજીના ભાવમાં ફેરફારની સાથે જ કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલની નિકાસ (Export) પર લાગતી સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી પણ વધારી દીધી છે. આ ડ્યુટી 1.5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને હવે 4 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
સરકારના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે, તેલ કંપનીઓ માત્ર વધુ નફાની લાલચમાં વિદેશોમાં પેટ્રોલની નિકાસ કરવાને બદલે સ્થાનિક બજારમાં તેનો પૂરતો પુરવઠો જાળવી રાખે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ બદલાઈ રહ્યા છે, ત્યારે દેશની અંદર ઇંધણની કોઈ અછત ન સર્જાય તે માટે આ પગલું લેવાયું છે.
વૈશ્વિક બજારની શું અસર છે?
સરકાર આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટના વલણો અને રિફાઇનિંગ માર્જિનને ધ્યાનમાં રાખીને દર 15 દિવસે આ વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે. હાલમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે ગ્લોબલ ઓઇલ માર્કેટમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર ભારતીય રિફાઇનરીઓના બિઝનેસ અને તેમની નિકાસ નીતિઓ પર પડી રહી છે.