Gold Silver Investment: દુનિયામાં 95 ધાતુઓ છે તો પણ સોના-ચાંદી જ કેમ લોકોની પહેલી પસંદ? જાણો તેનું અસલી અને વૈજ્ઞાનિક કારણ
Gold Silver Investment: દુનિયામાં અનેક ધાતુઓ હોવા છતાં લોકો સોના-ચાંદી પાછળ કેમ ઘેલા છે? શું છે તેનું વૈજ્ઞાનિક અને ઐતિહાસિક કારણ? સોનું કેમ ક્યારેય કાળું નથી પડતું? જાણો આ ખાસ અહેવાલમાં.
Gold Silver Investment: શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણી આસપાસ લોખંડ, તાંબુ, પિત્તળ અને એલ્યુમિનિયમ જેવી અનેક ધાતુઓ છે, છતાં જ્યારે વાત દાગીના કે સંપત્તિની આવે ત્યારે લોકોની નજર માત્ર સોના અને ચાંદી પર જ કેમ અટકે છે?
Gold Silver Investment: શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણી આસપાસ લોખંડ, તાંબુ, પિત્તળ અને એલ્યુમિનિયમ જેવી અનેક ધાતુઓ છે, છતાં જ્યારે વાત દાગીના કે સંપત્તિની આવે ત્યારે લોકોની નજર માત્ર સોના અને ચાંદી પર જ કેમ અટકે છે? વિજ્ઞાન અનુસાર પૃથ્વી પર અંદાજે 95 જેટલી અલગ-અલગ ધાતુઓ અસ્તિત્વમાં છે, પણ માનવ ઇતિહાસમાં હજારો વર્ષોથી સોના-ચાંદીનું સ્થાન રાજા જેવું રહ્યું છે. ઇજિપ્તના પિરામિડ હોય કે ભારતની જૂની સંસ્કૃતિ, આ બે ધાતુઓ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. ચાલો જાણીએ તેના પાછળના ખાસ કારણો.
ક્યારેય ખરાબ ન થતી ‘નોબલ મેટલ્સ'
સોના અને ચાંદીની આટલી બધી માંગ પાછળનું સૌથી મોટું અને વૈજ્ઞાનિક કારણ તેની ‘રાસાયણિક સ્થિરતા' છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ બંને ‘નોબલ મેટલ્સ' (Noble Metals) કહેવાય છે. સાદી ભાષામાં સમજવું હોય તો, આ ધાતુઓ પર હવા, પાણી કે ભેજની કોઈ જ અસર થતી નથી.
તમે જોયું હશે કે લોખંડને હવામાં ખુલ્લું રાખો તો કાટ લાગી જાય છે અને તાંબાના વાસણો સમય જતાં લીલા પડી જાય છે. પરંતુ સોનું એવું છે કે તે હજારો વર્ષ પછી પણ એટલું જ ચમકદાર રહે છે. તે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી, એટલે જ તે સદીઓ સુધી સુરક્ષિત રહે છે.
કુદરતી શુદ્ધતા અને ઘડતરમાં સરળતા
આજના જમાનામાં તો ધાતુ ઓગાળવા માટે મોટી ફેક્ટરીઓ છે, પણ હજારો વર્ષ પહેલા જ્યારે આવી ટેકનોલોજી નહોતી, ત્યારે પણ લોકો સોનું વાપરતા હતા. તેનું કારણ એ છે કે સોનું અને ચાંદી ઘણીવાર નદી કિનારે કે ખડકોમાં શુદ્ધ સ્વરૂપે મળી આવતા હતા.
બીજી એક ખાસિયત એ છે કે સોનું ખૂબ જ નરમ ધાતુ છે. તેને માત્ર હથોડાથી ટીપીને મનગમતો ઘાટ આપી શકાય છે. તેની નરમાશ (Malleability) એટલી જોરદાર હોય છે કે માત્ર 1 ગ્રામ સોનાને ટીપીને તેમાંથી 1 ચોરસ મીટર જેટલી પાતળી શીટ બનાવી શકાય છે. પુરાતત્વ વિભાગને જ્યારે ખોદકામ દરમિયાન રાજા-મહારાજાઓના મૃતદેહો મળ્યા, ત્યારે તેમની સાથે દફનાવેલા સોનાના દાગીના સદીઓ પછી પણ ચમકતા મળી આવ્યા હતા. ઇતિહાસ સાક્ષી છે કે ઈ.સ. પૂર્વે 5000થી 6000ના સમયથી માણસ સોનાનો ઉપયોગ કરતો આવ્યો છે.
સૌથી સુરક્ષિત રોકાણ અને ચલણ
સોનું અને ચાંદી દુર્લભ ચોક્કસ છે, પણ એટલા બધા પણ દુર્લભ નથી કે તે મળે જ નહીં. આ સંતુલનને કારણે તે દુનિયાભરમાં એક મજબૂત કરન્સી (ચલણ) તરીકે સ્વીકારાયા. ઇતિહાસના પાના ઉથલાવીએ તો, ઈ.સ. પૂર્વે 600ની આસપાસ આધુનિક તુર્કીયેમાં સોના-ચાંદીના સૌથી પહેલા સિક્કા બન્યા હતા. આપણા ભારતમાં પણ વર્ષોથી ચાંદી માટે 'રૂપ્ય' અને સોના માટે 'હિરણ્ય' શબ્દો વપરાતા આવ્યા છે અને તેનો વ્યાપારમાં ઉપયોગ થતો રહ્યો છે.
આ ધાતુઓની ખાસિયત એ છે કે તેને નાના ટુકડાઓમાં વહેંચી શકાય છે અને તેની નકલ કરવી (નકલી સોનું બનાવવું) મુશ્કેલ છે. આ જ કારણ છે કે ભારત જેવા દેશમાં આજે પણ વાર્ષિક 600થી 800 ટન સોનું માત્ર દાગીના બનાવવા માટે વપરાય છે. મુશ્કેલીના સમયમાં સોનું વેચીને તરત પૈસા મળી રહેતા હોવાથી તેને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.
માત્ર ઘરેણાં જ નહીં, ટેકનોલોજીમાં પણ અનિવાર્ય
ઘણા લોકોને એમ હશે કે સોનું-ચાંદી માત્ર શોખની વસ્તુ છે, પણ હકીકતમાં આધુનિક વિજ્ઞાન અને ઉદ્યોગોમાં પણ તેનું સ્થાન મહત્વનું છે.
ચાંદી: તે વીજળી અને ગરમીની શ્રેષ્ઠ વાહક (Conductor) છે. તેથી જ સોલર પેનલ, બેટરી અને અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક્સમાં તેનો બહોળો ઉપયોગ થાય છે.
સોનું: તેને કાટ લાગતો નથી, એટલે અવકાશયાન (Spacecraft), ટેલિફોન કનેક્ટર્સ અને દાંતની સારવાર (Dentistry) માં તેનો ઉપયોગ અનિવાર્ય છે.
આમ, સોનું અને ચાંદી માત્ર ચમકતા ટુકડા નથી, પણ કુદરત અને માનવ ઇતિહાસનું એક અદભૂત જોડાણ છે, જેનું મૂલ્ય ભવિષ્યમાં પણ ઓછું થવાનું નથી.