ગુજરાતમાં ભારે વરસાદનો કહેર: 7 જળાશયો હાઈએલર્ટ પર, નેશનલ હાઈવે બંધ, 109 લોકોનું રેસ્ક્યુ | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં ભારે વરસાદનો કહેર: 7 જળાશયો હાઈએલર્ટ પર, નેશનલ હાઈવે બંધ, 109 લોકોનું રેસ્ક્યુ

ભારે વરસાદના કારણે અમરેલીમાં 80 અને બોટાદમાં 40 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 109 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. NDRFની 5 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.

અપડેટેડ 12:42:21 PM Jun 18, 2025 પર
Story continues below Advertisement
રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ સ્થિતિમાં 7 જળાશયોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 6 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, અને NDRF તેમજ SDRFની ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે. ભાવનગરનો નેશનલ હાઈવે બંધ થયો છે, અને રાજ્યના 241 ગામોમાં વીજળી ગુલ થઈ છે.

જળાશયો પર હાઈએલર્ટ, નદીઓ બે કાંઠે

રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સ્થિતિમાં ધાતરવાડી, સુરજવાડી, રોજકી, બગડ, રંગોડા, ધોળીધજા અને મલાણ જળાશયોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. 6 જળાશયોની સપાટી 100 ટકા સુધી પહોંચી ગઈ છે, જેના કારણે નદીઓમાં નવા નીરનું આગમન થયું છે, અને તે બંને કાંઠે વહેવા લાગી છે. આવી સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

રેસ્ક્યુ ઓપરેશનમાં NDRF-SDRF

ભારે વરસાદના કારણે અમરેલીમાં 80 અને બોટાદમાં 40 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 109 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. NDRFની 5 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, ભાવનગર, બોટાદ, કચ્છ અને સુરતમાં એક-એક ટીમ કાર્યરત છે. આ ઉપરાંત 10 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. SDRFની 20 ટીમો પણ રેસ્ક્યુ અને રાહત કાર્યમાં જોડાઈ છે.


રસ્તાઓ અને વીજળી પર અસર

ભારે વરસાદે રાજ્યના ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બુરી રીતે અસર કરી છે. ભાવનગરનો નેશનલ હાઈવે બંધ થયો છે, જ્યારે 10 સ્ટેટ હાઈવે પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. આ ઉપરાંત, પંચાયત હસ્તકના 95 રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. વીજળીની વાત કરીએ તો, 241 ગામોમાં પાવર સપ્લાય ખોરવાયો છે, અને 579 વીજ પોલ ધરાશાયી થયા છે. ખાસ કરીને મોરબી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં સૌથી વધુ નુકસાન થયું છે.

આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે તમામ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા અને રેસ્ક્યુ-રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં મોટું વહીવટી ફેરબદલ: 9 IAS અધિકારીઓની બદલી, 4ને વધારાનો ચાર્જ, જાણો સંપૂર્ણ લિસ્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Jun 18, 2025 12:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.