NSE અનલિસ્ટેડ શેરના નામે મોટું કૌભાંડ! રોકાણકારોને લૂંટવા બદલ મુંબઈ અને ચેન્નઈમાં 8 સ્થળો પર EDના દરોડા
NSE unlisted shares fraud: NSEના અનલિસ્ટેડ શેર આપવાના બહાને રોકાણકારો સાથે થયેલી છેતરપિંડી મામલે ED એ મુંબઈ અને ચેન્નઈમાં 8 જગ્યાએ દરોડા પાડ્યા છે. જાણો આ કૌભાંડની સંપૂર્ણ વિગત.
NSEના અનલિસ્ટેડ શેર આપવાના બહાને રોકાણકારો સાથે થયેલી છેતરપિંડી મામલે ED એ મુંબઈ અને ચેન્નઈમાં 8 જગ્યાએ દરોડા પાડ્યા
NSE unlisted shares fraud: જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના 'અનલિસ્ટેડ' શેર સસ્તામાં અપાવવાની લાલચ આપીને રોકાણકારો સાથે થયેલી છેતરપિંડીના એક મોટા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે.
મની લોન્ડરિંગની તપાસ અંતર્ગત ED ની ટીમે મુંબઈ અને ચેન્નઈમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આરોપ છે કે કેટલાક લેભાગુ તત્વોએ રોકાણકારોને NSE ના ડમી શેર વેચીને કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે.
ક્યારે અને ક્યાં પડી રેડ?
ED દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 27 ફેબ્રુઆરીના રોજ એજન્સીની હેડક્વાર્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી કરી હતી. આ અંતર્ગત મુંબઈ અને ચેન્નઈમાં કુલ 8 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કઈ કંપનીઓ અને કોના પર છે આરોપ?
આ દરોડામાં ઘણી શંકાસ્પદ કંપનીઓ અને તેના ડાયરેક્ટરોને નિશાને લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે નીચેની કંપનીઓ અને વ્યક્તિઓ સામેલ છે:
એજન્સીનો આરોપ છે કે આ તમામ લોકોએ ભેગા મળીને એક એવી સિન્ડિકેટ બનાવી હતી, જે રોકાણકારોને NSE ના અનલિસ્ટેડ શેર ખરીદવાની લાલચ આપીને તેમની પાસેથી પૈસા પડાવતી હતી.
કેવી રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?
ED ની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ રોકાણકારોને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે તેમની પાસે NSE ઇન્ડિયા લિમિટેડના શેર છે. તેઓએ વાયદો કર્યો કે ખાનગી એગ્રીમેન્ટ દ્વારા તેઓ આ શેર પ્રીમિયમ ભાવે રોકાણકારોના ખાતામાં ટ્રાન્સફર કરી આપશે.
પરંતુ હકીકત એ હતી કે જે શેર વેચવાની વાત થતી હતી, તે આ આરોપીઓ પાસે હતા જ નહીં! હાલમાં NSE ના શેર કોઈ પણ સ્ટોક એક્સચેન્જ (BSE કે NSE) પર લિસ્ટેડ નથી. તેથી તેનું ટ્રેડિંગ એક્સચેન્જ પ્લેટફોર્મ પર થતું નથી અને ત્યાંની સેટલમેન્ટ વ્યવસ્થા પણ લાગુ પડતી નથી. બસ, આ જ ગ્રે-માર્કેટની સિસ્ટમનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ રોકાણકારો પાસેથી એડવાન્સ પેમેન્ટ તરીકે મોટી રકમ ખંખેરી લીધી.
અનેક ખાતાઓમાં ફેરવાયા પૈસા
રોકાણકારો પાસેથી ભેગી કરેલી આ રકમને અલગ-અલગ બેંક ખાતાઓમાં ઘુમાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમાંથી સ્થાવર અને જંગમ મિલકતો ખરીદવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે. છાપેમારી દરમિયાન EDના અધિકારીઓએ મિલકતોના દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ અને અન્ય ઘણા મહત્વપૂર્ણ પુરાવાઓ જપ્ત કર્યા છે, જેને તપાસ માટે ખૂબ જ અગત્યના માનવામાં આવી રહ્યા છે.
એકાઉન્ટ્સ કરાયા ફ્રીઝ
આ કડક કાર્યવાહીના ભાગરૂપે, ED એ PMLA ની કલમ 17(1A) હેઠળ સતીશ કુમાર, સંજય દમાની અને આ કેસ સાથે જોડાયેલી કંપનીઓના ઘણા બેંક અને ડીમેટ ખાતાઓને ફ્રીઝ કરી દીધા છે. એજન્સીના જણાવ્યા અનુસાર, આ ખાતાઓમાં "ગુના દ્વારા કમાયેલી આવક" હોવાના પુરાવા મળ્યા છે. આ છેતરપિંડીનો ભોગ બનેલા ઘણા રાજ્યોના રોકાણકારોએ ફરિયાદો નોંધાવી છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર FIR દાખલ કરવામાં આવી નથી.
શા માટે વધી NSE ના શેરની માંગ?
આ કૌભાંડ એવા સમયે સામે આવ્યું છે જ્યારે NSE ઇન્ડિયા લિમિટેડના આગામી IPO ની ચર્ચા બજારમાં ગરમ છે. અનલિસ્ટેડ માર્કેટમાં NSE ના શેરની ભારે ડિમાન્ડ છે. તાજેતરમાં જ NSE ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે એક્સચેન્જને તેના પ્રસ્તાવિત IPO માટે SEBI પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળી ગયું છે. IPO ના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં 3 થી 4 મહિનાનો સમય લાગી શકે છે અને ત્યારબાદ રેગ્યુલેટરી મંજૂરી માટે વધુ 2 થી 3 મહિનાનો સમય લાગશે. આ ગણતરી મુજબ કંપની આ વર્ષના અંત સુધીમાં લિસ્ટિંગનો ટાર્ગેટ રાખી રહી છે.
માર્કેટ એક્સપર્ટ્સની સલાહ
IPO ની આ ખબરોને કારણે અનલિસ્ટેડ માર્કેટમાં શેરની માંગ વધી છે, જેનો ફાયદો આવા કૌભાંડીઓ ઉઠાવી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ્સ રોકાણકારોને સલાહ આપે છે કે, કોઈપણ અનલિસ્ટેડ શેર ખરીદતા પહેલા વેચનાર પાસે ખરેખર શેર છે કે નહીં તે તેના ડીમેટ રેકોર્ડમાં ચોક્કસ ચેક કરો. હંમેશા માન્ય અને જાણીતી ડિપોઝિટરી સિસ્ટમ દ્વારા જ લેવડ-દેવડ કરવી જોઈએ. હાલમાં ED ની તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.