શુક્રવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. સેન્સેક્સ 232 પોઈન્ટ અને નિફ્ટી 64 પોઈન્ટ વધીને બંધ રહ્યો. આ ઉછાળાથી રોકાણકારોની સંપત્તિમાં 1.30 લાખ કરોડનો જંગી વધારો થયો છે. જાણો તેજીના મુખ્ય કારણો.
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સંકેત આપ્યો છે કે ઈરાનની સ્થિતિ અંગે ડિપ્લોમેટિક (રાજદ્વારી) વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. આ નિવેદનથી વૈશ્વિક બજારોની ચિંતા હળવી થઈ છે.
Stock Market Rise: શુક્રવાર, 22 મે નો દિવસ ભારતીય શેરબજાર અને રોકાણકારો માટે ખૂબ જ શાનદાર રહ્યો. એક દિવસના ઘટાડા બાદ બજારમાં ફરીથી હરિયાળી પરત ફરી છે અને સેન્સેક્સ તેમજ નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. વૈશ્વિક બજારોનો સપોર્ટ, ભૌગોલિક રાજકીય તણાવમાં ઘટાડો અને રૂપિયામાં આવેલી મજબૂતીના કારણે બજારને મોટો ટેકો મળ્યો છે.
બજારની આજની સ્થિતિ અને આંકડાઓ
ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 231.99 પોઈન્ટના ઉછાળા સાથે 75,415.35 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 64.60 પોઈન્ટ વધીને 23,719.30 ના સ્તરે પહોંચ્યો હતો.
જો દિવસ દરમિયાનની વધઘટની વાત કરીએ તો, સેન્સેક્સ પાછલા ક્લોઝિંગથી 627.61 પોઈન્ટ ઉછળીને 75,810.97 ની ટોચે અને નિફ્ટી લગભગ 181 પોઈન્ટ ઉછળીને 23,835.65 ની હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
રોકાણકારોને થયો જંગી ફાયદો
બજારમાં આવેલી આ તેજીને કારણે રોકાણકારો માલામાલ થયા છે. માર્કેટ બંધ થવા પર BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન વધીને 4,62,83,621.91 કરોડ થઈ ગયું છે. અગાઉ ગુરુવારે, 21 મે ના રોજ આ આંકડો 4,61,53,456.249 કરોડ હતો. આનો સીધો અર્થ એ છે કે માત્ર એક જ દિવસમાં રોકાણકારોની મિલકતમાં 1,30,165.661 કરોડનો જંગી વધારો થયો છે.
શેરબજારમાં તેજી પાછળના મુખ્ય 4 કારણો
તણાવમાં ઘટાડાના સંકેત: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સંકેત આપ્યો છે કે ઈરાનની સ્થિતિ અંગે ડિપ્લોમેટિક (રાજદ્વારી) વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. આ નિવેદનથી વૈશ્વિક બજારોની ચિંતા હળવી થઈ છે.
વૈશ્વિક બજારોનો સપોર્ટ: ભારત ઉપરાંત એશિયન બજારો પણ લીલા નિશાનમાં રહ્યા છે. નિક્કેઈ 225 અને તાઈવાન વેઈટેડમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકન અને યુરોપિયન બજારો પણ મજબૂતી સાથે બંધ થયા છે.
ભારતીય રૂપિયામાં મજબૂતી: ભારતીય ચલણ રૂપિયામાં સારો સુધારો જોવા મળ્યો છે. રૂપિયો 63 પૈસા મજબૂત થઈને 95.73 (કામચલાઉ) પ્રતિ ડોલર પર બંધ થયો છે. અગાઉ ગુરુવારે પણ રૂપિયો 50 પૈસાની મજબૂતી સાથે 96.36 પર બંધ રહ્યો હતો.
બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદી: આજે બેન્કિંગ સેક્ટરમાં ભારે લેવાલી જોવા મળી હતી. નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સમાં લગભગ 1.5 ટકા અને PSU બેંક ઈન્ડેક્સમાં 0.22 ટકાનો વધારો નોંધાયો છે.
RBI નો વ્યાજદર અંગે શું છે પ્લાન?
CNBCના એક રિપોર્ટ અનુસાર, સૂત્રોનું કહેવું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હાલમાં રૂપિયાને બચાવવા માટે વ્યાજ દરોને હથિયાર તરીકે વાપરવાના મૂડમાં નથી. એટલે કે, આરબીઆઈ દ્વારા નિર્ધારિત સમય પહેલા 'ઓફ-સાયકલ' વ્યાજદરમાં વધારો કરવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી.
ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)