શેરબજારમાં વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી ડરવાની નથી જરૂર! રમેશ દમાણીએ જણાવ્યું ‘નો ટેન્શન'નું મોટું કારણ
FII selling effect: ભારતીય શેરબજારમાં FII ની સતત વેચવાલી વચ્ચે દિગ્ગજ રોકાણકાર રમેશ દમાણીએ રિટેલ રોકાણકારોને 'નો ટેન્શન'ની સલાહ આપી છે. જાણો શા માટે આ લાંબા ગાળાના રોકાણની ઉત્તમ તક છે.
FII selling effect: ભારતીય શેરબજારમાં FII ની સતત વેચવાલી વચ્ચે દિગ્ગજ રોકાણકાર રમેશ દમાણીએ રિટેલ રોકાણકારોને 'નો ટેન્શન'ની સલાહ આપી
FII selling effect: ભારતીય શેરબજારમાં અત્યારે વિદેશી રોકાણકારો (FII) સતત પોતાના પૈસા ખેંચી રહ્યા છે. રોજબરોજ થતી આ ભારે વેચવાલી જોઈને નાના અને સ્થાનિક રોકાણકારોમાં થોડો ગભરાટ ફેલાયો છે. પરંતુ, શેરબજારના દિગ્ગજ રોકાણકાર રમેશ દમાણીનું માનવું છે કે આમાં જરાય ગભરાવાની જરૂર નથી. તેમણે આ સમયને લાંબા ગાળાના રોકાણ માટે એક શાનદાર તક ગણાવી છે.
મુંબઈમાં 09 મેના રોજ યોજાયેલા ‘ગ્રો ઈન્વેસ્ટર ફેસ્ટિવલ'માં રમેશ દમાણી અને સુનીલ સિંઘાનિયાએ એક પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. આ ચર્ચા દરમિયાન દમાણીએ સ્પષ્ટ કર્યું કે ગ્લોબલ માર્કેટમાં ગમે તેટલી ઉથલપાથલ હોય અથવા અન્ય દેશોમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) નો ગમે તેટલો ક્રેઝ હોય, ભારતીય બજાર હજુ પણ લાંબા ગાળાના રોકાણ માટે દુનિયાના સૌથી શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે.
શેર કોઈ બ્લેક હોલમાં ગાયબ નથી થતા
રમેશ દમાણીએ બહુ સરળ ભાષામાં રોકાણકારોને સમજાવ્યું કે, માર્કેટમાં કશું જ ખરાબ નથી થયું. જ્યારે કોઈ વિદેશી રોકાણકાર શેર વેચે છે, ત્યારે સામે કોઈને કોઈ તેને ખરીદી જ રહ્યું હોય છે. શેર ક્યારેય કોઈ બ્લેક હોલમાં ગાયબ નથી થઈ જતા.
તેમનું કહેવું છે કે હવે આપણા ઘરેલુ રોકાણકારો એટલા મજબૂત થઈ ગયા છે કે તેઓ વિદેશી રોકાણકારોની વેચવાલીને આરામથી પચાવી શકે છે. સ્થાનિક રોકાણકારો ભારતીય કંપનીઓને વિદેશી ફંડ્સ કરતા વધુ સારી રીતે સમજે છે અને બજારમાં ઉતાર-ચઢાવ આવે ત્યારે સારી કંપનીઓમાં પૈસા લગાવવા માટે હંમેશા તૈયાર રહે છે.
AIના કારણે વિદેશી રોકાણ અન્ય દેશોમાં જઈ રહ્યું છે?
અત્યારે માર્કેટમાં એવી ચર્ચા છે કે વિદેશી રોકાણકારો AI ના ટ્રેન્ડને કારણે તાઈવાન અને કોરિયા જેવા ટેકનોલોજી આધારિત માર્કેટમાં પૈસા લગાવી રહ્યા છે. આ અંગે દમાણીએ સ્વીકાર્યું કે, કેટલીક એડવાન્સ ટેકનોલોજીમાં ભારત થોડું પાછળ છે, પરંતુ માર્કેટમાં લીડરશિપ સમય સાથે બદલાતી રહે છે.
તેમણે ઉમેર્યું કે, કોરોના મહામારી પછી આપણે 15 થી 20 ટકા રિટર્નની આદત પાડી દીધી છે, રોકાણકારોને લાગે છે કે બજાર દર વર્ષે આટલું જ વધવું જોઈએ, પણ હકીકતમાં એવું ન બની શકે. અત્યારે ભારતીય બજાર કોવિડ પછીના એક હેલ્ધી કન્સોલિડેશન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે.
ભારતની અસલી તાકાત શું છે?
આ જ પેનલ ચર્ચામાં એબેકસ મ્યુચ્યુઅલ ફંડના સુનીલ સિંઘાનિયાએ પણ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભલે આપણે સેમિકન્ડક્ટર કે ડીપ-ટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાછળ હોઈએ, પણ રોકાણકારોએ દેશની લોંગ ટર્મ સ્ટ્રેન્થ (લાંબા ગાળાની મજબૂતી) ને નજરઅંદાજ ન કરવી જોઈએ. ગ્લોબલ સેમિકન્ડક્ટર કંપનીઓમાં બહુ મોટા રોકાણની જરૂર પડે છે અને તેમાં હંમેશા તાબડતોડ રિટર્ન મળે જ તેવી કોઈ ગેરંટી હોતી નથી.
સુનીલ સિંઘાનિયાના મતે, ગ્લોબલ ટેકનોલોજીના ટ્રેન્ડ પાછળ આંધળી દોટ મુકવા કરતા ભારતની મૂળ તાકાત પર ધ્યાન આપવું જોઈએ. ભારતની અસલી તાકાત આ ત્રણ બાબતોમાં રહેલી છે:
* કન્ઝમ્પ્શન (વપરાશ અને મજબૂત સ્થાનિક માંગ)
* ડેમોગ્રાફી (યુવા વસ્તીનો મોટો વર્ગ)
* ડિજિટલાઈઝેશન (ઝડપી ડિજિટલ વિકાસ)
દુનિયાની બહુ ઓછી મોટી અર્થવ્યવસ્થાઓ છે જ્યાં ભારત જેવી અનુકૂળ વસ્તી અને મજબૂત સ્થાનિક માંગ હોય. આથી, વિદેશી રોકાણકારો ભલે અત્યારે પ્રોફિટ બુકિંગ કરી રહ્યા હોય, પરંતુ ભારતીય રોકાણકારો માટે આ ગભરાવવાનો નહિ, પરંતુ સારી કંપનીઓ શોધીને લાંબા ગાળા માટે રોકાણ કરવાનો સમય છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.