Stock Market Crash: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે આજના સમાચાર નિરાશાજનક છે. સળંગ 2 દિવસ સુધી બજારમાં જોવા મળેલી તેજી શુક્રવારે અટકી ગઈ છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જેના કારણે ગણતરીની મિનિટોમાં જ રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
રોકાણકારોના 1.57 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
માર્કેટ કેપના આંકડા પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે બજારમાં કેટલો મોટો ઘટાડો આવ્યો છે. ગુરુવારે એટલે કે 6 ઓગસ્ટ જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,94,94,539.903 કરોડ રૂપિયા હતું.
શુક્રવારે બજાર ખુલ્યાની થોડી જ વારમાં તે ઘટીને 4,93,36,740.32 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે માત્ર થોડી જ વારમાં રોકાણકારોના 1,57,799.583 કરોડ રૂપિયા (લગભગ 1.57 લાખ કરોડ) ધોવાઈ ગયા.
સેન્સેક્સ અને નિફ્ટીની લેટેસ્ટ સ્થિતિ
શુક્રવારે શરૂઆતી કારોબારમાં જ બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ શુક્રવારે સેન્સેક્સ લાલ નિશાન સાથે 78,516.08 ના સ્તરે ખુલ્યો હતો. જોતજોતામાં તે અગાઉના ક્લોઝિંગથી લગભગ 503 પોઈન્ટ ગગડીને 78,451.99ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. તો, નિફ્ટીની શરૂઆત પણ નબળી રહી હતી. તે 24,538.90 ના સ્તરે ખુલ્યો અને થોડી જ વારમાં અગાઉના બંધ કરતા 107 પોઈન્ટ તૂટીને 24,529.20 ના સ્તરે આવી ગયો હતો.
ગુરુવારે બજારનો માહોલ કેવો હતો?
અગાઉના દિવસે એટલે કે ગુરુવારે બજારમાં સારો એવો ઉત્સાહ હતો. સેન્સેક્સ 373.76 પોઈન્ટ 0.48%ના ઉછાળા સાથે 78,954.76 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 11.35 પોઈન્ટ 0.05% વધીને 24,636 પર બંધ રહ્યો હતો. આ તેજી પાછળનું મુખ્ય કારણ કાચા તેલ ના ભાવમાં થયેલો ઘટાડો તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ICICI બેંક જેવી મોટી કંપનીઓના શેરમાં આવેલી ભારે ખરીદી હતી. આ દિવસે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 0.89% અને મિડકેપ ઇન્ડેક્સ 0.14%ના વધારા સાથે બંધ થયા હતા.
ડોલર સામે રૂપિયો પણ નબળો પડ્યો
શેરબજારની સાથે સાથે કરન્સી માર્કેટમાં પણ આજે દબાણ જોવા મળ્યું છે. શુક્રવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો 6 પૈસા તૂટીને 95.28 ના સ્તરે આવી ગયો હતો. આ પહેલા ગુરુવારે પણ અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે અને ડોલર ઇન્ડેક્સ મજબૂત થતા રૂપિયો 14 પૈસા નબળો પડીને 95.22 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
વૈશ્વિક પરિબળો અને ડોલરની મજબૂતીની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં આવેલી આ અચાનક અસ્થિરતાને જોતા રોકાણકારોએ હાલના તબક્કે ખૂબ જ સાવચેતીપૂર્વક અને વિચારીને ટ્રેડિંગ કરવું હિતાવહ છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.