નીલેશ શાહના મતે, વર્ષના બીજા ભાગમાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પાછા ફરી શકે છે. આ માટે ઘણા કારણો જવાબદાર છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા શાંતિ કરારની વાતોએ ભારતીય શેરબજારમાં નવી ઉર્જા ભરી દીધી છે. આજે 17 જૂને સળંગ ત્રીજો દિવસ છે જ્યારે ભારતીય બજારોમાં શાનદાર તેજી જોવા મળી છે. લાંબા સમય બાદ માર્કેટમાં આટલી મજબૂતી દેખાઈ રહી છે. અગાઉ બજારમાં આવતો ઉછાળો લાંબો સમય ટકી શકતો ન હતો. ત્યારે રોકાણકારોના મનમાં એક જ સવાલ છે કે શું આ તેજી બજારને નવી ટોચે લઈ જશે? આ અંગે મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં કોટક એએમસીના એમડી નીલેશ શાહે સચોટ જવાબો આપ્યા છે.
12 થી 18 મહિનામાં માર્કેટ બનાવશે નવો રેકોર્ડ
નીલેશ શાહના જણાવ્યા મુજબ, અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ઘટતા બજારમાં અત્યારે એક 'રિલીફ રેલી'જોવા મળી રહી છે. આ પછી બજાર ધીમે-ધીમે ઉપરની તરફ જશે. તેમનું સ્પષ્ટ માનવું છે કે, ભારતની મજબૂત આર્થિક સ્થિતિના આધારે આગામી 12 થી 18 મહિનાની અંદર ભારતીય શેરબજાર નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી જશે.
જોકે, બજાર માત્ર DIIના ટેકાથી મજબૂત બન્યું છે. હજુ માર્કેટ સામે કેટલાક પડકારો ઊભા છે, જેમ કે,,
ચોમાસામાં વરસાદની ઘટ રહેવાની શક્યતા.
ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી વધવાનું જોખમ.
કંપનીઓના કમાણીના આંકડા અને અમુક સેક્ટરમાં શેરોના ઊંચા ભાવ
ગ્લોબલ માર્કેટમાં AI અને લિક્વિડિટીમાં આવતા ફેરફારો.
વિદેશી રોકાણકારોની વાપસી ક્યારે થશે?
નીલેશ શાહના મતે, વર્ષના બીજા ભાગમાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પાછા ફરી શકે છે. આ માટે ઘણા કારણો જવાબદાર છે. જેમ કે, ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થયો છે, ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર થઈ રહ્યા છે અને ભારતીય રૂપિયાને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. જોકે, વિદેશી રોકાણકારો હાલ કંપનીઓના ત્રિમાસિક પરિણામો, તેમના માર્જિનનું ગાઈડન્સ અને બજારની ડિમાન્ડ સ્પષ્ટ થવાની રાહ જોઈ રહ્યા છે.
સસ્તા ક્રૂડ ઓઈલથી ભારતને શું ફાયદો થશે?
અમેરિકા-ઈરાન ડીલથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ સસ્તું થશે, જે ભારત માટે આશીર્વાદ સમાન છે. આનાથી ભારતની વેપાર ખાધ ઘટશે. મોંઘવારી વધવાનો ડર ઓછો થશે અને રૂપિયામાં સ્થિરતા આવશે. જેના કારણે કંપનીઓના નફાના માર્જિનમાં વધારો થશે અને રોકાણકારો વધુ રિસ્ક લેવા તૈયાર થશે.
રોકાણકારો કયા સેક્ટરના શેરમાં રોકાણ કરી શકે?
નીલેશ શાહે કમાણી કરાવે તેવા સેક્ટર્સ વિશે માહિતી આપતા જણાવ્યું કે,,,
બેન્કિંગ સેક્ટર: ગ્રોથના હિસાબે બેંકોના વેલ્યુએશન ખૂબ સારા દેખાઈ રહ્યા છે. તેમની એસેટ ક્વોલિટી સુધરી છે અને ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થવાનો ફાયદો તેમને મળશે. ખાસ કરીને સરકારી અને પ્રાઈવેટ બેંકો પાસે ડિપોઝિટ સારી છે.
અંતમાં રોકાણકારોને સલાહ આપતા નીલેશ શાહે કહ્યું કે, દરેક રોકાણકારે પોતાના પોર્ટફોલિયોમાં એસેટ એલોકેશનના નિયમનું પાલન કરવું જોઈએ. તમે મિડકેપ શેરોમાં રોકાણ વધારી શકો છો. લાંબા ગાળે હંમેશા સારી ક્વોલિટીવાળા બિઝનેસ જ જંગી વળતર આપે છે. નવા રોકાણકારોએ બજારમાં જ્યારે પણ ઘટાડો આવે, ત્યારે તેનો ઉપયોગ સારી કંપનીના શેર ખરીદવા માટે કરવો જોઈએ. આ ઉપરાંત રોકાણમાં વિવિધતા જાળવી રાખવી અત્યંત જરૂરી છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.