ચાબહાર પોર્ટને લઈને ભારત અને ઈરાન વચ્ચે ડીલ થઈ છે. આ અંતર્ગત આગામી 10 વર્ષ સુધી પોર્ટનું સંચાલન સંભાળવામાં આવશે. આ ડીલ બાદ અમેરિકાએ ચેતવણી આપી છે કે ઈરાન સાથે વેપાર કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના પર પ્રતિબંધો પણ લાદવામાં આવી શકે છે. આ સાથે અમેરિકાએ સંકેત આપ્યો છે કે 2018માં ઈરાન સાથેના સોદા પર તેણે ભારતને જે છૂટ આપી હતી તે પાછી ખેંચી શકાય છે. આ અંતર્ગત અમેરિકાએ ભારતને આઝાદી આપી હતી કે તે ચાબહાર પોર્ટ તૈયાર કરી શકે છે અને અફઘાનિસ્તાન સુધી રેલવે લાઈન પણ બનાવી શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાના વલણને ધ્યાનમાં રાખીને ભારત હવે સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે. ભારત એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે અમેરિકાના પ્રતિબંધોને આધીન ચાબહાર પોર્ટ પ્રોજેક્ટમાં કોઈ ઈરાની કંપની સામેલ ન થાય. વાસ્તવમાં, ચાબહાર પોર્ટ પર ઈરાન સાથે 10 વર્ષના કરાર માટે આટલો સમય લેવા પાછળનું આ જ કારણ હતું. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ભારત નથી ઈચ્છતું કે એવા કોઈ નિયમનું ઉલ્લંઘન થાય જેનાથી અમેરિકન પ્રતિબંધો લાગી શકે. જ્યારે અમેરિકાએ આ ડીલ પર ભારતને રાહત આપી ત્યારે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર હતી.