નિર્મલા સીતારમણે GSTની સફળતા પર ભાર મૂકતા જણાવ્યું કે 2018માં GST રેવન્યૂ 7.19 લાખ કરોડ હતો, જે 2025માં વધીને 22.08 લાખ કરોડ થયો છે.
GST Reforms and Indian Economy: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે નવી જનરેશનના GST સુધારણા દ્વારા ભારતીય અર્થતંત્રમાં 2 લાખ કરોડનો ઉમેરો થશે. આ સુધારણાથી લોકોના હાથમાં વધુ નાણાં બચશે, કારણ કે આ રકમ હવે ટેક્સ તરીકે સરકાર પાસે નહીં જાય. "નેક્સ્ટ-જનરેશન GST" હેઠળ ચાર ટેક્સ સ્લેબ (5%, 12%, 18%, 28%)ને ઘટાડીને માત્ર બે સ્લેબ (5% અને 18%) કરવામાં આવ્યા છે, જે 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.
ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર
નાણામંત્રીએ જણાવ્યું કે 12% GST ધરાવતી 99% પ્રોડક્ટ્સ હવે 5% સ્લેબમાં આવી ગઈ છે, જ્યારે 28% ટેક્સ ધરાવતી 90% આઇટમ્સ હવે 18%ના દરે ઉપલબ્ધ થશે. આ ફેરફારથી ગ્રાહકોને સીધો ફાયદો થશે. FMCG સેક્ટરની ઘણી મોટી કંપનીઓએ સ્વૈચ્છિક રીતે કિંમતોમાં ઘટાડો કરીને આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનું વચન આપ્યું છે.
સુધારણાનો હેતુ
નવી GST સિસ્ટમ પાંચ મુખ્ય ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે:
ગરીબ અને મધ્યમ વર્ગ માટે ટેક્સ દરમાં રાહત.
મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરવી.
ખેડૂત સમુદાયને ફાયદો.
MSME અને રોજગાર સર્જન કરતા સેક્ટરને પ્રોત્સાહન.
ભારતની નિર્યાત ક્ષમતામાં વધારો.
GSTની સફળતા
નિર્મલા સીતારમણે GSTની સફળતા પર ભાર મૂકતા જણાવ્યું કે 2018માં GST રેવન્યૂ 7.19 લાખ કરોડ હતો, જે 2025માં વધીને 22.08 લાખ કરોડ થયો છે. ટેક્સપેયર્સની સંખ્યા પણ 65 લાખથી વધીને 1.51 કરોડ થઈ છે, જે આ સિસ્ટમની વધતી સ્વીકૃતિ દર્શાવે છે. તેમણે GST કાઉન્સિલને "સહકારી સંઘવાદ"નું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું.
પાછલી સરકાર પર પ્રહાર
નાણામંત્રીએ UPA સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેમણે "ટેક્સ આતંકવાદ"ને પ્રોત્સાહન આપ્યું અને 10 વર્ષ સુધી "વન નેશન, વન ટેક્સ" સિસ્ટમ લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા. GST લાગુ કરવા માટે વર્તમાન સરકારે ઘણી મહેનત કરી, જેથી દેશભરમાં એકસમાન ટેક્સ સિસ્ટમ લાગુ થઈ શકી.