Gujarat Karmyogi Swasthya Suraksha Yojana: નવરાત્રિના પવિત્ર અવસરે ગુજરાત સરકારે રાજ્યના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય - આયુષ્માન યોજનાના 7 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં, “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” (G-કેટેગરી)નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ, રાજ્યના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને રુપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળશે.
આ યોજના રાજ્યના લાખો પરિવારો માટે આરોગ્ય સંબંધી મોટી આર્થિક સુરક્ષા પૂરી પાડશે. જોકે, આ યોજનાનો અમલ ક્યારથી શરૂ થશે તે અંગે આરોગ્ય મંત્રીએ હજુ સ્પષ્ટતા કરી નથી. આ યોજના માટે રાજ્ય સરકાર દર વર્ષે રુપિયા 303.5 કરોડનો ખર્ચ કરશે, જેનાથી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને મોટી રાહત મળશે.
આયુષ્માન ભારત યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.92 લાખ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત 51.27 લાખ દાવાઓ માટે રુપિયા 13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 2708 હોસ્પિટલો, જેમાં 943 ખાનગી અને 1765 સરકારી હોસ્પિટલો, આ યોજના સાથે સંકળાયેલી છે. આ હોસ્પિટલોમાં 2471 જેટલી મેડિકલ પ્રોસિજરનો લાભ આપવામાં આવે છે.
ગુજરાતમાં આરોગ્ય સુરક્ષા માટેની યોજનાઓનો લાંબો ઇતિહાસ છે. વર્ષ 2012માં રુપિયા 30 કરોડના બજેટ સાથે શરૂ થયેલી “મા યોજના” વર્ષ 2014માં “મા-વાત્સલ્ય યોજના”માં રૂપાંતરિત થઈ. આ યોજના હેઠળ 2012થી 2018 સુધી રુપિયા 1179.19 કરોડના ક્લેઇમની ચૂકવણી કરવામાં આવી હતી.
ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના વિશે વધુ માહિતી મેળવવા અથવા ફરિયાદ નિવારણ માટે હેલ્પલાઇન નંબર 079-66440104 શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના રાજ્યના લાખો પરિવારોને આરોગ્ય સંબંધી આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.