ATMમાંથી 100 અને 200ની નોટ વધુ મળશે, RBIએ બેન્કોને આપ્યા ખાસ નિર્દેશ
RBIનો આ નિર્ણય કસ્ટમર્સની સુવિધા અને નાણાકીય સેવાઓની સુલભતા વધારવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. 100 અને 200ની નોટની ઉપલબ્ધતા વધારવા અને ATM ટ્રાન્ઝેક્શન શુલ્કના નવા નિયમો લાગુ કરવાથી બેન્કિંગ સેવાઓ વધુ ગ્રાહક-કેન્દ્રિત બનશે. બેન્કો અને વ્હાઈટ લેબલ ATM ઓપરેટર્સે આ નિર્દેશોનું પાલન કરવા માટે ટૂંક સમયમાં જરૂરી ફેરફારો કરવાની શરૂઆત કરી દીધી છે.
જો તમે ATMમાંથી રોકડ ઉપાડો છો પરંતુ 100 અને 200ની નોટ ભાગ્યે જ મળતી હોય, તો આગામી દિવસોમાં તમારી આ સમસ્યા દૂર થવા જઈ રહી છે.
જો તમે ATMમાંથી રોકડ ઉપાડો છો પરંતુ 100 અને 200ની નોટ ભાગ્યે જ મળતી હોય, તો આગામી દિવસોમાં તમારી આ સમસ્યા દૂર થવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કોને ATMમાંથી 100 અને 200ની નોટની ઉપલબ્ધતા વધારવાનો આદેશ આપ્યો છે. RBIના નવા સર્ક્યુલર મુજબ, 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં દેશભરના 75 ટકા ATMમાં ઓછામાં ઓછી એક કેસેટમાંથી 100 અથવા 200ની નોટ નિકળશે. આ નિર્દેશ બેન્કો અને વ્હાઈટ લેબલ ATM ઓપરેટર્સ (WLAs) બંને માટે ફરજિયાત છે અને તેને ટપ્પાવાર લાગુ કરવામાં આવશે.
RBIનો નિર્ણય: નાના મૂલ્યની નોટની ઉપલબ્ધતા વધારવાનો પ્રયાસ
RBIએ તાજેતરમાં જારી કરેલા એક સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, લોકોને વધુ ઉપયોગમાં લેવાતી નાના મૂલ્યની નોટો સરળતાથી મળી રહે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ નિર્દેશ હેઠળ, તમામ બેન્કો અને વ્હાઈટ લેબલ ATM ઓપરેટર્સે ખાતરી કરવાની રહેશે કે તેમના ATMમાંથી નિયમિત રીતે 100 અને 200ની નોટ ઉપલબ્ધ થાય. સર્ક્યુલર અનુસાર, 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં 75 ટકા ATMમાં ઓછામાં ઓછી એક કેસેટ 100 અથવા 200ની નોટ માટે ફાળવવામાં આવશે. આ ઉપરાંત, 31 માર્ચ, 2026 સુધીમાં આ આંકડો વધારીને 90 ટકા ATM સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
કસ્ટમર્સની ફરિયાદોને ધ્યાનમાં લઈને નિર્ણય
કસ્ટમર્સ દ્વારા વારંવાર એવી ફરિયાદો સામે આવી છે કે ATMમાંથી 100 અને 200ની નોટ ભાગ્યે જ મળે છે, જ્યારે મોટાભાગે 500ની નોટ જ નીકળે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને RBIએ આ નવો નિર્દેશ જારી કર્યો છે. આ પગલાંથી કસ્ટમર્સને નાના મૂલ્યની નોટો સરળતાથી મળી રહેશે, જે રોજિંદા નાના વ્યવહારો માટે વધુ અનુકૂળ છે. આ નિર્ણયથી કસ્ટમર્સની ફરિયાદોમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.
1 મે, 2025થી ATM ટ્રાન્ઝેક્શન શુલ્કમાં ફેરફાર
RBIએ ATM ટ્રાન્ઝેક્શન શુલ્ક સંબંધિત નિયમોમાં પણ ફેરફારની જાહેરાત કરી છે, જે 1 મે, 2025થી લાગુ થશે. આ નવા નિયમો હેઠળ, દેશભરમાં મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા, વધારાના ટ્રાન્ઝેક્શન માટેનું શુલ્ક અને ઇન્ટરચેન્જ શુલ્કની રચનામાં ફેરફાર થશે. કસ્ટમર્સ દર મહિને ચોક્કસ સંખ્યામાં મફત ATM ટ્રાન્ઝેક્શનના હકદાર હશે. આમાં મહાનગરોમાં ત્રણ અને બિન-મહાનગર વિસ્તારોમાં પાંચ મફત ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થશે. આ મફત ટ્રાન્ઝેક્શનમાં નાણાકીય (જેમ કે રોકડ ઉપાડ) અને બિન-નાણાકીય (જેમ કે બેલેન્સ ચેક) બંને પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે.
શું હશે અસર?
RBIના આ નવા નિર્દેશો કસ્ટમર્સ માટે ATMનો ઉપયોગ વધુ અનુકૂળ અને ખર્ચ-અસરકારક બનાવશે. ખાસ કરીને નાના મૂલ્યની નોટોની ઉપલબ્ધતા વધવાથી રોજિંદા નાના વ્યવહારો જેમ કે બજારમાં ખરીદી, ટ્રાન્સપોર્ટ ખર્ચ અને અન્ય નાની જરૂરિયાતો માટે કસ્ટમર્સને સરળતા રહેશે. આ ઉપરાંત, ટ્રાન્ઝેક્શન શુલ્કના નવા નિયમો કસ્ટમર્સને વધુ પારદર્શક અને નિયંત્રિત ખર્ચનો અનુભવ આપશે.