ભારત અને અમેરિકા વચ્ચે યોજાનારી વ્યાપાર મંત્રણા હાલ પૂરતી ટળી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈમ્પોર્ટ ટેરિફ વધારીને 15% કરતા બંને દેશો હવે નવી રણનીતિ ઘડશે. જાણો બેઠક રદ થવાનું સાચું કારણ.
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર કરારનું માળખું ફેબ્રુઆરીની શરૂઆતમાં જ નક્કી થઈ ગયું હતું, પરંતુ હવે ટ્રમ્પના આ નવા 15% ટેરિફના નિર્ણયથી સ્થિતિ બદલાઈ ગઈ છે.
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર સમજૂતીની પ્રક્રિયામાં એક મોટો વળાંક આવ્યો છે. બંને દેશોના મુખ્ય વાટાઘાટકારો (Chief Negotiators) વચ્ચે આવતા અઠવાડિયે યોજાનારી મહત્વની બેઠક હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. અમેરિકામાં બદલાયેલા આર્થિક સમીકરણો અને ટેક્સને લઈને લેવાયેલા નવા નિર્ણયોને કારણે આ મીટિંગની તારીખ હવે નવેસરથી નક્કી કરવામાં આવશે.
વોશિંગ્ટન પ્રવાસ હાલ પૂરતો રદ
આયોજન મુજબ, ભારતીય અધિકારીઓની એક ટીમ 23 ફેબ્રુઆરીના રોજ વોશિંગ્ટન પહોંચવાની હતી, જ્યાં સતત 3 દિવસ સુધી મિટિંગો ચાલવાની હતી. આ બેઠકમાં ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલના અંતિમ સ્વરૂપ પર ચર્ચા થવાની હતી. પરંતુ, તાજેતરમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ નક્કી કર્યું છે કે અત્યારે આ મંત્રણા કરવી યોગ્ય નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, બંને દેશોને લાગે છે કે ટેરિફ (આયાત શુલ્ક) અંગેની નવી સ્થિતિને સમજવા માટે થોડો સમય લેવો જરૂરી છે.
ટ્રમ્પનો ટેરિફ ધડાકો અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય
આ બેઠક ટળવા પાછળનું મુખ્ય કારણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવાયેલા આકરા નિર્ણયો છે. આ સમગ્ર ઘટનાક્રમ કંઈક આ મુજબ છે
સુપ્રીમ કોર્ટનો ઝટકો: અમેરિકન સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક ચુકાદો આપ્યો હતો જેમાં ટ્રમ્પે ગયા વર્ષે ભારત સહિત લગભગ 60 દેશો પર જે ટેરિફ ઓર્ડર કર્યા હતા, તેને રદ કરી દીધા હતા. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કર્યો છે.
ટ્રમ્પનો વળતો પ્રહાર: કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પે તાત્કાલિક અસરથી શુક્રવારે ભારત સહિતના તમામ દેશો પર 24 ફેબ્રુઆરીથી લાગુ પડે તે રીતે 150 દિવસ માટે 10% વધારાનો ટેરિફ ઝીંકી દીધો.
શનિવારે ફરી વધારો: વાત અહીં જ અટકી નહીં, શનિવારે ટ્રમ્પે આ ટેરિફ 10% થી વધારીને સીધો 15% કરી દીધો છે.
હવે આગળ શું થશે?
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપાર કરારનું માળખું ફેબ્રુઆરીની શરૂઆતમાં જ નક્કી થઈ ગયું હતું, પરંતુ હવે ટ્રમ્પના આ નવા 15% ટેરિફના નિર્ણયથી સ્થિતિ બદલાઈ ગઈ છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, સરકાર અમેરિકામાં બની રહેલી આ ઘટનાઓ અને તેની ભારતીય વેપાર પર થતી અસરોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી રહી છે.
ટૂંકમાં, જ્યારે બંને દેશો આ નવા ટેક્સ માળખાની અસરોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી લેશે, ત્યારબાદ જ બંને પક્ષોની અનુકૂળતા મુજબ મીટિંગની નવી તારીખ જાહેર કરવામાં આવશે.