Layoff News: છટણીની આગ હવે માઈક્રોસોફ્ટ સુધી પહોંચી ગઈ છે. માઇક્રોસોફ્ટે મેક્રોઇકોનોમિક પરિસ્થિતિઓ અને બદલાતી ગ્રાહક પસંદગીઓને કારણે 10,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આ માઈક્રોસોફ્ટના વૈશ્વિક વર્કફોર્સના લગભગ 5 ટકા છે. કંપનીએ બુધવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. કર્મચારીઓને છટણી વિશે જાણ કરવામાં આવી છે અને કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. માઇક્રોસોફ્ટે એમ પણ કહ્યું છે કે તે તેના હાર્ડવેર પોર્ટફોલિયોમાં ફેરફાર કરશે અને ભાડે આપેલી ઓફિસની સંખ્યામાં ઘટાડો કરશે.
છટણી છતાં મહત્વની જગ્યાઓ પર ભરતી ચાલુ રહેશે
માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કર્મચારીઓને છટણી વિશે માહિતી આપી હતી અને કેટલીક છટણી આજથી શરૂ થઈ છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક વિભાગોમાં છટણી કરવામાં આવી રહી છે પરંતુ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક હોદ્દાઓ પર ભરતી ચાલુ રહેશે. નડેલાએ AI (આર્ટિફિશિલ ઇન્ટેલિજેન્ટ)નો ઉપયોગ કરીને નવા કમ્પ્યુટર પ્લેટફોર્મ બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
કસ્ટમરની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણયનો દાવો
મેક્રોઇકોનોમિક કંડીશન ઉપરાંત, માઇક્રોસોફ્ટે કસ્ટમરની બદલાતી જરૂરિયાતોને પણ છટણીના મહત્વના કારણો માટે જવાબદાર ગણાવી છે. નડેલાના જણાવ્યા અનુસાર, રોગચાળા દરમિયાન કસ્ટમર ડિજિટલ ટેક્નોલોજી પર ખર્ચ વધારી રહ્યા હતા પરંતુ હવે તેઓ તેમના ડિજિટલ ખર્ચને મર્યાદિત કરી રહ્યા છે. નડેલા દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા ઈમેઈલ મુજબ, દરેક ઉદ્યોગ અને દરેક દેશની સંસ્થાઓ મંદીની સંભાવના વધુ હોવાથી ખર્ચ કરવા અંગે સાવચેત છે.