Cholamandalam Investment: ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ પર કોબ્રાપોસ્ટ દ્વારા લગાવાયેલા ગંભીર આરોપો બાદ કંપનીએ સ્પષ્ટતા કરી છે. કંપનીના મજબૂત જવાબ બાદ શેરમાં 8% નો ઉછાળો જોવા મળ્યો છે. જાણો કંપનીએ રોકાણકારોને શું ભરોસો આપ્યો છે.
Cholamandalam Investment: ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ પર કોબ્રાપોસ્ટ દ્વારા લગાવાયેલા ગંભીર આરોપો બાદ કંપનીએ સ્પષ્ટતા કરી છે.
Cholamandalam Investment: મુરુગપ્પા ગ્રુપની જાણીતી કંપની ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની (Cholamandalam Investment and Finance Company) હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. કોબ્રાપોસ્ટ દ્વારા કંપની પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો બાદ, કંપનીએ મજબૂત સ્પષ્ટતા જાહેર કરી છે. આ સ્પષ્ટતાની સકારાત્મક અસર શેરબજારમાં જોવા મળી છે. આજે 23 ડિસેમ્બરના રોજ શરૂઆતી કારોબારમાં કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી અને શેર લગભગ 8% સુધી ઉછળીને 1,711.50 રૂપિયાના સ્તરે પહોંચી ગયા હતા. આ તેજી પાછળનું મુખ્ય કારણ કંપની દ્વારા રોકાણકારોને આપવામાં આવેલો ભરોસો છે.
કંપનીની આર્થિક સ્થિતિ અને સ્પષ્ટતા
ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટે શેરબજારોને આપેલી માહિતીમાં સ્પષ્ટ કર્યું છે કે કોબ્રાપોસ્ટના રિપોર્ટમાં કરવામાં આવેલ તમામ દાવાઓ પાયાવિહોણા અને ખોટા ઇરાદાથી કરવામાં આવ્યા છે. કંપનીએ પોતાના રોકાણકારોને આશ્વાસન આપ્યું છે કે સપ્ટેમ્બર 2025ના પૂરા થયેલા છમાસિક પરિણામો મુજબ કંપનીનું પરફોર્મન્સ, એસેટ ક્વોલિટી અને લિક્વિડિટીની સ્થિતિ એકદમ મજબૂત છે. કંપનીએ જણાવ્યું કે તેમના બિઝનેસ પ્લાનમાં કોઈ ફેરફાર નથી અને તેઓ બોર્ડ દ્વારા મંજૂર કરાયેલા પ્લાન મુજબ જ આગળ વધશે. આંકડાકીય માહિતી આપતા કંપનીએ કહ્યું કે, 30 નવેમ્બર 2025 સુધીમાં કંપની પાસે 14,900 કરોડ રૂપિયાનું કેશ અને બેંક બેલેન્સ છે, જે તેની મજબૂત લિક્વિડિટી દર્શાવે છે.
ક્રેડિટ રેટિંગ અને નેટવર્થ અંગે માહિતી
કંપનીની શાખ બજારમાં અકબંધ છે. ICRA, India Ratings અને CARE જેવી ત્રણેય દિગ્ગજ એજન્સીઓ દ્વારા કંપનીને ‘AA+’ ક્રેડિટ રેટિંગ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, કંપનીની નેટવર્થમાં પણ વધારો થયો છે. 30 નવેમ્બર 2025 સુધીમાં કંપનીની નેટવર્થ 26,783 કરોડ રૂપિયા રહી હતી, જે નાણાકીય વર્ષ 2025 ના અંતની સરખામણીએ 3,000 કરોડ રૂપિયા વધુ છે. કંપનીએ ભારપૂર્વક કહ્યું છે કે તેમણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં રિલેટેડ-પાર્ટી ટ્રાન્ઝેક્શન અને બિઝનેસ પ્રેક્ટિસના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે. પ્રમોટર્સ કે અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર લાભ પહોંચાડવાના આરોપોને કંપનીએ ફગાવી દીધા છે.
કોબ્રાપોસ્ટના આરોપો અને કંપનીનો જવાબ
ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ એજન્સી કોબ્રાપોસ્ટે સોમવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે ચોલામંડલમ અને મુરુગપ્પા ગ્રુપ વચ્ચે કેશ અને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શનમાં ચિંતાજનક પેટર્ન જોવા મળી છે. રિપોર્ટમાં લગભગ 10,262 કરોડ રૂપિયાના વ્યવહારો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત FY20 થી FY25 વચ્ચે 14 બેંકોમાં જમા થયેલ 25,089 કરોડ રૂપિયાની રોકડ ડિપોઝિટ અને 2024–25 દરમિયાન કમાયેલા 942 કરોડ રૂપિયાના ઇન્સ્યોરન્સ કમિશન પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
આ બાબતે ખુલાસો કરતા ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટે જણાવ્યું હતું કે તેમનો ગ્રાહક વર્ગ મુખ્યત્વે નાના ટ્રાન્સપોર્ટ ઓપરેટરો અને સેલ્ફ-એમ્પ્લોયડ નોન-પ્રોફેશનલ્સ છે. આવા ગ્રાહકોની સંખ્યા 50 લાખથી વધુ છે અને તેઓ રોકડમાં કમાણી કરે છે, જેના કારણે EMI પણ રોકડમાં ભરે છે. આ રકમ બાદમાં બેંકોમાં જમા કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા ઇન્ટરનલ અને એક્સટર્નલ ઓડિટ, KYC નિયમો અને ઇન્કમ ટેક્સ કાયદા મુજબ જ થાય છે. આમ, કંપનીએ તમામ આરોપોને નકારી કાઢીને પારદર્શિતા સાથે કામ કરતા હોવાનો દાવો કર્યો છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.