ભારત માટે લાલબત્તી: 100% સ્વચ્છ હવા મેળવવામાં લાગી જશે 188 વર્ષ, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ | Moneycontrol Gujarati
Get App

ભારત માટે લાલબત્તી: 100% સ્વચ્છ હવા મેળવવામાં લાગી જશે 188 વર્ષ, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ

India Air Quality: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના નવા રિસર્ચ મુજબ, વર્તમાન ગતિએ ભારતને સંપૂર્ણ સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે. જ્યારે ચીન આ લક્ષ્ય માત્ર 25 વર્ષમાં પૂરું કરશે. જાણો પ્રદૂષણ અંગેના ચોંકાવનારા આંકડા.

અપડેટેડ 12:29:53 PM Dec 23, 2025 પર
Story continues below Advertisement
India Air Quality: સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના નવા રિસર્ચ મુજબ, વર્તમાન ગતિએ ભારતને સંપૂર્ણ સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે.

India Air Quality: ભારતમાં હાલ શિયાળાની શરૂઆત સાથે જ દિલ્હી સહિત અનેક મોટા શહેરોમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. લોકો માટે શુદ્ધ હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલો એક રિપોર્ટ ભારત માટે અત્યંત ચિંતાજનક સાબિત થયો છે. આ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત જે ગતિથી પ્રદૂષણ સામે લડી રહ્યું છે, તે જોતા દેશને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસના મુખ્ય તારણો

અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પર્યાવરણ નિષ્ણાતોએ વિશ્વના આશરે 150 દેશોની પ્રદૂષણ સ્થિતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતને પોતાની એનર્જી સિસ્ટમમાંથી વાયુ પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જન સંપૂર્ણપણે નાબૂદ કરવામાં બે સદી એટલે કે લગભગ 188 વર્ષનો સમય લાગી શકે છે. આ આંકડો પર્યાવરણવિદો અને નીતિ ઘડવૈયાઓ માટે એક ચેતવણી સમાન છે. આ અભ્યાસમાં અમેરિકા વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મુજબ અમેરિકાને આ લક્ષ્ય પ્રાપ્ત કરતા વર્ષ 2128 સુધીનો સમય લાગી શકે છે.

ચીન ભારત કરતા અનેક ગણું આગળ

આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી બાબત ભારત અને ચીન વચ્ચેની સરખામણી છે. ચીન કે જ્યાં વિશ્વભરની અનેક વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને મોટી સંખ્યામાં ફેક્ટરીઓ ધમધમી રહી છે, તેમ છતાં પ્રદૂષણ નિયંત્રણમાં તે ભારત કરતા ખૂબ આગળ છે. સ્ટેનફોર્ડના ડેટા મુજબ, ચીન વર્તમાન ગતિએ આગળ વધતું રહેશે તો તે માત્ર 25 વર્ષમાં જ સ્વચ્છ હવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. ચીન દ્વારા પ્રદૂષણ સામે લેવામાં આવેલા કડક પગલાં અને ગ્રીન એનર્જી તરફની તેની દોટ તેને ભારત કરતા વધુ કાર્યક્ષમ સાબિત કરી રહી છે.


ભારતની વર્તમાન વાસ્તવિકતા: પ્રદૂષિત શહેરોમાં મોખરે

રિપોર્ટના આંકડા ભારતની ગંભીર વાસ્તવિકતા દર્શાવે છે. ભારત પહેલાથી જ દુનિયાના સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં સામેલ છે. 'વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2023'ના આંકડા પર નજર કરીએ તો, વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 100 શહેરોમાંથી 83 શહેરો માત્ર ભારતના છે. આ આંકડો દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં સ્થિતિ કેટલી વિકટ છે.

આ ઉપરાંત, પ્રદૂષણની સીધી અસર માનવ સ્વાસ્થ્ય પર પડી રહી છે. અગાઉ સામે આવેલા તારણો મુજબ, વર્ષ 2022માં ભારતમાં માનવસર્જિત વાયુ પ્રદૂષણને કારણે અંદાજે 17 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સ્ટેનફોર્ડનો આ રિપોર્ટ માત્ર આંકડા નથી, પરંતુ ભારતની પર્યાવરણ નીતિ અને તેના અમલીકરણની ધીમી ગતિ સામે લાલબત્તી સમાન છે. જો સ્વચ્છ એનર્જી અને પ્રદૂષણ નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં નહીં આવે, તો આવનારી પેઢીઓને શુદ્ધ હવા માટે સદીઓ સુધી રાહ જોવી પડી શકે છે.

આ પણ વાંચો- SBI Mutual Fund IPO: દેશની સૌથી મોટી AMC કંપનીનો IPO ક્યારે આવશે? SBI ચેરમેને આપી મોટી અપડેટ

MoneyControl News

MoneyControl News

First Published: Dec 23, 2025 12:29 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.