સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ: PM મોદીએ કહ્યું- 'આ છે અતૂટ આસ્થાના 1000 વર્ષ', નેહરુ અને સરદાર પટેલનો ખાસ ઉલ્લેખ | Moneycontrol Gujarati
Get App

સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ: PM મોદીએ કહ્યું- 'આ છે અતૂટ આસ્થાના 1000 વર્ષ', નેહરુ અને સરદાર પટેલનો ખાસ ઉલ્લેખ

PM Modi Article: સોમનાથ મંદિર પર થયેલા વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે PM નરેન્દ્ર મોદીએ એક ખાસ લેખ લખીને સોમનાથની 'અતૂટ આસ્થા' અને પુનર્નિર્માણની ગાથા વર્ણવી છે. જાણો સરદાર પટેલ અને નેહરુ વિશે તેમણે શું લખ્યું.

અપડેટેડ 10:30:23 AM Jan 05, 2026 પર
Story continues below Advertisement
PM Modi Article: સોમનાથ મંદિર પર થયેલા વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે.

Somnath Attack 1000 years: ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા ભીષણ વિદેશી આક્રમણને હવે 1000 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક વિશેષ લેખ લખીને દેશવાસીઓની અતૂટ શ્રદ્ધાને બિરદાવી છે. પીએમ મોદીએ સોમનાથના ઇતિહાસ, તેના પર થયેલા હુમલાઓ અને ત્યારબાદના પુનર્નિર્માણની રોચક વાતો શેર કરી છે.

આસ્થા પરનો પ્રહાર અને સોમનાથની અડીખમ ગાથા

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા લખ્યું છે કે, વર્ષ 2026માં આપણી આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા પહેલા મોટા આક્રમણને 1000 વર્ષ પૂરા થશે. જાન્યુઆરી 1026માં મહમદ ગઝનીએ સોમનાથ પર હુમલો કર્યો હતો અને મંદિરને તોડી પાડ્યું હતું. આ હુમલો આપણી સંસ્કૃતિ અને આસ્થાને નષ્ટ કરવાનો એક ક્રૂર પ્રયાસ હતો.

જોકે, પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, અનેક આક્રમણો છતાં સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે. આ મંદિર ભારત માતાના કરોડો સંતાનોના સ્વાભિમાન અને સાહસનું પ્રતીક છે, જેમના માટે પોતાની સંસ્કૃતિ હંમેશા સર્વોપરી રહી છે.

12 જ્યોતિર્લિંગોમાં સોમનાથનું સ્થાન અનેરું


પોતાના લેખમાં પીએમ મોદીએ સોમનાથના આધ્યાત્મિક મહત્વ વિશે વાત કરતા લખ્યું કે, 'સોમનાથ' શબ્દ સાંભળતા જ મનમાં ગર્વ અને શ્રદ્ધા જાગી ઉઠે છે. પ્રભાસ પાટણમાં આવેલું આ મંદિર ભારતની આત્મા સમાન છે. આપણા શાસ્ત્રોમાં 'દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ'માં સૌથી પહેલા “સૌરાષ્ટ્રે સોમનાથં ચ...” કહીને સોમનાથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે આ પવિત્ર ધામનું મહત્વ દર્શાવે છે.

વારંવાર તૂટ્યું પણ રાષ્ટ્રની ચેતના જીવંત રહી

ઇતિહાસને યાદ કરતા પીએમ મોદીએ લખ્યું કે, સોમનાથ પરનો હુમલો માનવ ઇતિહાસની મોટી કરુણાંતિકાઓમાંનો એક હતો. વિદેશી આક્રમણકારોનો ઉદ્દેશ્ય માત્ર લૂંટ અને વિનાશ હતો. પરંતુ, આ મંદિર સેંકડો વાર તૂટ્યું અને દરેક વખતે પોતાના જ કાટમાળમાંથી ફરી બેઠું થયું. તે પહેલા કરતા વધુ ભવ્ય અને જીવંત બન્યું. પીએમ મોદીએ કહ્યું કે, આ જ તો રાષ્ટ્રનું મન છે, આ જ રાષ્ટ્રની જીવનધારા છે. તેને છોડી દેવાનો અર્થ મૃત્યુ સમાન છે.

સરદાર પટેલનો સંકલ્પ અને નેહરુ સાથેનો પ્રસંગ

આઝાદી પછી સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. પીએમ મોદીએ લખ્યું કે, 1947માં દિવાળીના સમયે સરદાર પટેલ સોમનાથ આવ્યા હતા. અહીંની સ્થિતિ જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે ત્યાં જ સંકલ્પ લીધો કે અહીં ફરીથી ભવ્ય મંદિરનું નિર્માણ થશે.

આ પ્રસંગે પીએમ મોદીએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ વચ્ચેના મતભેદનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું કે, "નેહરુજી આ ઘટનાથી બહુ ખુશ નહોતા. તેઓ નહોતા ઈચ્છતા કે રાષ્ટ્રપતિ આ સમારોહનો ભાગ બને, કારણ કે તેમને લાગતું હતું કે તેનાથી ભારતની છબી ખરાબ થશે. પરંતુ રાજેન્દ્ર બાબુ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને 11 મે 1951ના રોજ તેમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, જેણે નવો ઈતિહાસ રચ્યો." આ કામમાં કે.એમ. મુનશીના યોગદાનને પણ પીએમ મોદીએ યાદ કર્યું હતું.

2026નું વર્ષ છે ઐતિહાસિક

આવનારૂ વર્ષ 2026 સોમનાથ મંદિર માટે ખૂબ ખાસ છે. એક તરફ મંદિર પર થયેલા આક્રમણને 1000 વર્ષ પૂરા થશે, તો બીજી તરફ આઝાદી પછી થયેલા મંદિરના પુનર્નિર્માણને 75 વર્ષ પણ પૂર્ણ થશે. પીએમ મોદીએ અંતમાં લખ્યું કે, અનાદિ કાળથી સોમનાથ લોકોને જોડતું આવ્યું છે. આજે પણ સોમનાથ દાદાના દર્શનથી મનમાં જે શાંતિ અને અલૌકિક અનુભૂતિ થાય છે, તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

આ પણ વાંચો - ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારતને આપી ધમકી: રશિયાથી તેલ ખરીદવા પર વધારી શકે છે ટેક્સ, જોકે PM મોદી માટે કહી આ મોટી વાત

MoneyControl News

MoneyControl News

First Published: Jan 05, 2026 10:30 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.