પૃથ્વી પર તોળાતું મહાસંકટ: ગ્રીનલેન્ડ-એન્ટાર્કટિકામાંથી 12 લાખ કરોડ ટન બરફ ગાયબ, 90 લાખ લોકો પર પૂરનો ખતરો | Moneycontrol Gujarati
Get App

પૃથ્વી પર તોળાતું મહાસંકટ: ગ્રીનલેન્ડ-એન્ટાર્કટિકામાંથી 12 લાખ કરોડ ટન બરફ ગાયબ, 90 લાખ લોકો પર પૂરનો ખતરો

Greenland Antarctica Ice Melt: 1979 થી 2023 વચ્ચે ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાંથી 12 લાખ કરોડ ટન બરફ પીગળી ગયો છે. સમુદ્રની સપાટી વધતા 90 લાખ લોકો પર પૂરનું મોટું જોખમ છે. વાંચો લેટેસ્ટ રિપોર્ટ.

અપડેટેડ 02:14:31 PM Sep 17, 2026 પર
Story continues below Advertisement
આશ્ચર્યની વાત એ છે કે ગ્રીનલેન્ડનો વિસ્તાર એન્ટાર્કટિકા કરતા નાનો હોવા છતાં, કુલ નુકસાનમાંથી સૌથી વધુ એટલે કે 60 ટકા બરફ ત્યાંથી જ ઓગળ્યો છે. જ્યારે એન્ટાર્કટિકામાંથી 40 ટકા બરફનું નુકસાન થયું છે.

Greenland Antarctica Ice Melt: વિજ્ઞાનીઓના એક લેટેસ્ટ અને ચોંકાવનારા રિપોર્ટ મુજબ, પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે કે વર્ષ 1979થી 2023 ના સમયગાળા દરમિયાન ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાંથી બરફની ચાદરો ખૂબ જ ઝડપથી ગાયબ થઈ રહી છે. આ આંકડો કોઈ નાનો સૂનો નથી, પરંતુ પૂરા 12.5 ટ્રિલિયન ટન એટલે કે 12 લાખ કરોડ ટનથી વધુ બરફ ઓગળી ગયો છે.

જાણીતા ‘સાઇન્ટિફિક ડેટા જર્નલ'માં પ્રકાશિત થયેલા આ નવા સ્ટડીમાં 27 અલગ-અલગ સેટેલાઇટ મિશનના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અત્યાધુનિક અને સચોટ માહિતી દર્શાવે છે કે આટલા વિશાળ જથ્થામાં બરફ પીગળવાને કારણે દુનિયાભરમાં સમુદ્રની સપાટીમાં 3.1 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે.

બરફ પીગળવાનું અસલી કારણ શું છે?

Greenland Antarctica Ice Melt 1

સામાન્ય રીતે આપણને એવું લાગે કે સૂર્યની કે હવાની ગરમીથી બરફ પીગળતો હશે, પરંતુ આ સંશોધને એક અલગ જ હકીકત રજૂ કરી છે:


ગરમ દરિયાઈ પાણી: રિપોર્ટ મુજબ 84 ટકા બરફનું નુકસાન સપાટીની ગરમીથી નહીં, પરંતુ બરફની નીચે અને કિનારાના ભાગોમાં ટકરાતા ગરમ દરિયાઈ પાણીને કારણે થયું છે. ગ્લેશિયર અંદરથી કપાઈને ઝડપથી સમુદ્રમાં ભળી રહ્યા છે, જેને વિજ્ઞાનની ભાષામાં 'ડાયનેમિક ઇમ્બેલેન્સ' કહેવાય છે.

સપાટીનું તાપમાન: માત્ર 16 ટકા નુકસાન જ સપાટી પરની હવા ગરમ થવાથી કે પીગળવાથી થયું છે.

ગ્રીનલેન્ડને સૌથી વધુ નુકસાન: આશ્ચર્યની વાત એ છે કે ગ્રીનલેન્ડનો વિસ્તાર એન્ટાર્કટિકા કરતા નાનો હોવા છતાં, કુલ નુકસાનમાંથી સૌથી વધુ એટલે કે 60 ટકા બરફ ત્યાંથી જ ઓગળ્યો છે. જ્યારે એન્ટાર્કટિકામાંથી 40 ટકા બરફનું નુકસાન થયું છે.

90 લાખ લોકોના જીવ પર જોખમ

સમુદ્રની સપાટીમાં થઈ રહેલો આ સતત વધારો દરિયાકિનારે વસતા લોકો માટે લાલબત્તી સમાન છે. વિજ્ઞાનીઓ સ્પષ્ટ ચેતવણી આપે છે કે સમુદ્રની સપાટીમાં જો માત્ર 1 સેન્ટિમીટરનો પણ વધારો થાય, તો દર વર્ષે લાખો લોકોને પૂરનો સામનો કરવો પડી શકે છે. વર્તમાન ડેટા મુજબ, આ બદલાવથી સીધા 90 લાખ જેટલા લોકો પર પૂરનું મોટું જોખમ ઊભું થયું છે.

ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની આ ખતરનાક અસર આવનારા સમયમાં વધુ ભયંકર રૂપ લઈ શકે છે. જો દરિયાકાંઠાના શહેરો અને નીચાણવાળા વિસ્તારોનું અસ્તિત્વ બચાવવું હશે, તો વૈશ્વિક સ્તરે તમામ દેશોએ ભેગા મળીને અત્યારે જ નક્કર પગલાં લેવા પડશે. પર્યાવરણને બચાવવા માટેનો સમય હવે ઝડપથી હાથમાંથી સરકી રહ્યો છે.

આ પણ વાંચો- ટ્રમ્પના નવા 100% ટેરિફ પ્લાનથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે? સમજો આખું ગણિત

MoneyControl News

MoneyControl News

First Published: Sep 17, 2026 2:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.