શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરીને બસ દ્વારા પરત ફરી રહ્યા હતા.રસ્તો ખૂબ જ જોખમી હોવાથી ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાંથી એક ખૂબ જ મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મંગળવારે અમરનાથ દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ અચાનક પલટી ખાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસમાં 39 જેટલા અમરનાથ યાત્રીઓ સવાર હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
કેવી રીતે થયો અકસ્માત?
આ દુર્ઘટના ગાંદરબલના ગુંડ વિસ્તારમાં બની હતી. શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરીને બસ દ્વારા પરત ફરી રહ્યા હતા.રસ્તો ખૂબ જ જોખમી હોવાથી ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ રસ્તા પરથી સ્લિપ થઈને સીધી નીચે આવેલા એક મકાન પર ખાબકી હતી. બસમાં સવાર 39 શ્રદ્ધાળુઓમાંથી આશરે 30 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ, ITBP, CRPF, ભારતીય સેના અને સ્થાનિક લોકોએ ભેગા મળીને મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. મોટાભાગના લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને હાલમાં તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીધી નોંધ
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલમનોજ સિંહાએ આ બસ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને સ્થિતિનો તાગ મેળવ્યો છે.તેમણે ગાંદરબલના ડેપ્યુટી કમિશનર અને આરોગ્ય અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી.
ઘાયલ થયેલા યાત્રીઓની હાલમાં SKIMS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઉપરાજ્યપાલે અધિકારીઓને શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ મેડિકલ સુવિધા અને તમામ જરૂરી મદદ પૂરી પાડવાનો કડક આદેશ આપ્યો છે. સાથે જ તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી કે તમામ ઘાયલ શ્રદ્ધાળુઓ વહેલી તકે સાજા થઈ જાય.
કેટલા દિવસ ચાલશે અમરનાથ યાત્રા?
આ વર્ષની પવિત્ર અમરનાથ યાત્રાની શરૂઆત 2 જુલાઈથી થઈ હતી. આ યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે અને 28 ઓગસ્ટના રોજ તેનું સમાપન થશે.
લેટેસ્ટ આંકડા મુજબ, અત્યાર સુધીમાં 4.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી લીધા છે.નોંધનીય છે કે, અમરનાથની પવિત્ર ગુફા અનંતનાગ જિલ્લામાં 3880 મીટરની ઊંચાઈ પર આવેલી છે. આ યાત્રા બે મુખ્ય રૂટ પરથી શરૂ થાય છે: પહેલો રૂટ અનંતનાગ જિલ્લાનો 48 કિલોમીટર લાંબો પરંપરાગત નુનવાન-પહલગામ રૂટ છે, જ્યારે બીજો રૂટ ગાંદરબલ જિલ્લાનો 14 કિલોમીટર લાંબો પણ અત્યંત સીધા ચઢાણ વાળો બાલટાલ રૂટ છે.