એરપોર્ટ પર પહોંચતા જ ભારતીયોના પગ કામ કરતા થઈ જાય છે બંધ? દર 8માંથી 1 મુસાફર માંગે છે વ્હીલચેર! જાણો અસલી કારણ | Moneycontrol Gujarati
Get App

એરપોર્ટ પર પહોંચતા જ ભારતીયોના પગ કામ કરતા થઈ જાય છે બંધ? દર 8માંથી 1 મુસાફર માંગે છે વ્હીલચેર! જાણો અસલી કારણ

Indian Airport Wheelchair Issue: શું સાચે જ ભારતીય મુસાફરો એરપોર્ટ પર ચાલી નથી શકતા? એર ઇન્ડિયાને દર મહિને 1 લાખથી વધુ વ્હીલચેર રિક્વેસ્ટ મળે છે. જાણો કેમ સાજા-સારા લોકો પણ વ્હીલચેરનો સહારો લઈ રહ્યા છે અને તેની પાછળનું ચોંકાવનારું સત્ય.

અપડેટેડ 04:42:47 PM Jan 23, 2026 પર
Story continues below Advertisement
Indian Airport Wheelchair Issue: શું સાચે જ ભારતીય મુસાફરો એરપોર્ટ પર ચાલી નથી શકતા? એર ઇન્ડિયાને દર મહિને 1 લાખથી વધુ વ્હીલચેર રિક્વેસ્ટ મળે છે.

Indian Airport Wheelchair Issue: શું તમને ખબર છે કે ભારતીય મુસાફરોને એક વિચિત્ર પ્રકારની 'મેડિકલ કન્ડિશન' થઈ રહી છે? નવાઈની વાત એ છે કે આ તકલીફ ત્યારે જ થાય છે જ્યારે તેઓ એરપોર્ટ પર પહોંચે છે, ખાસ કરીને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પકડતી વખતે. અચાનક જ તેમના પગ કામ કરતા બંધ થઈ જાય છે અને તેમને ચાલવામાં તકલીફ પડવા લાગે છે!

ચોંકાવનારા આંકડા: શું દર 8માંથી 1 ભારતીય ચાલી નથી શકતો?

તાજેતરમાં 2024માં આવેલા CISFના એક સર્વે મુજબ, ભારતીય એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં જનારા લગભગ 12% મુસાફરો વ્હીલચેર બુક કરાવે છે. એટલે કે, દર 8માંથી 1 વ્યક્તિ વ્હીલચેર માંગે છે. રિપોર્ટ તો ત્યાં સુધી કહે છે કે એર ઇન્ડિયાને દર મહિને એક લાખથી વધુ વ્હીલચેરની રિક્વેસ્ટ મળે છે.

ખાસ કરીને ભારતથી ન્યૂયોર્ક કે શિકાગો જેવા લાંબા રૂટ પર તો 30% મુસાફરો વ્હીલચેર આસિસ્ટન્સ બુક કરે છે. જો આ આંકડા સાચા હોય તો તેનો મતલબ એ થયો કે એક ફ્લાઈટમાં 80 થી 100 વ્હીલચેર રિક્વેસ્ટ આવે છે. જોકે, આ બધા લોકો સાચે જ બીમાર કે વૃદ્ધ નથી હોતા.

સિસ્ટમને 'ચકમો' આપવાની ચાલાકી


એરલાઇન્સ અને એરપોર્ટ ઓથોરિટી વારંવાર વિનંતી કરે છે કે આ ફ્રી સુવિધા ફક્ત તે જ લોકો માટે છે જે ખરેખર વિકલાંગ છે કે જેને ચાલવામાં તકલીફ છે. પરંતુ ઘણા સાજા-સારા ભારતીય મુસાફરો આ સુવિધાનો ગેરલાભ ઉઠાવે છે. સોશિયલ મીડિયા પર આ બાબતે ઘણી ટીકા થઈ રહી છે. ઘણા લોકો એરપોર્ટની લાંબી લાઈનો અને ભીડથી બચવા માટે આને એક 'સ્માર્ટ રસ્તો' માને છે. જરા વિચારો, એક તંદુરસ્ત માણસ વ્હીલચેર પર બેઠો હોય, એક એટેન્ડન્ટ તેને ધક્કો મારી રહ્યો હોય, તે સિક્યોરિટી અને ઈમિગ્રેશનની લાઈનો તોડીને આગળ નીકળી જાય અને આરામથી ફોનમાં રીલ્સ જોતો હોય! આ જોઈને લાગે કે આપણે સિસ્ટમને છેતરવામાં કેટલા હોશિયાર છીએ.

એરપોર્ટની અવ્યવસ્થા પણ છે એક કારણ

જોકે, બધો વાંક મુસાફરોનો નથી. એરપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જૂની પદ્ધતિઓ પણ લોકોને આવું કરવા મજબૂર કરે છે.

લાંબુ ચાલવું: આપણા એરપોર્ટ પર ડ્રોપ-ઓફ માટે પૂરતા સબ-ટર્મિનલ નથી, જેથી ગેટ સુધી પહોંચવા માટે કિલોમીટરો સુધી ચાલવું પડે છે.

જૂની સિક્યોરિટી સિસ્ટમ: આપણી એક્સ-રે મશીનો એટલી જૂની છે કે બેગમાંથી એકેએક સિક્કો, ચાવી, ચાર્જર અને વાયર બહાર કાઢવા પડે છે. સામાન કાઢવો અને પાછો ભરવો એ કોઈ માથાનો દુખાવો ઓછો નથી.

વારંવાર ચેકિંગ: બોર્ડિંગ પાસનું ચેકિંગ અને એકના એક સવાલો પાંચ અલગ-અલગ લોકો દ્વારા પૂછવામાં આવે છે, જે મુસાફરને થકવી દે છે.

આ બધી માથાકૂટથી બચવા માણસ વિચારે છે કે, "જ્યારે હું વ્હીલચેર પર આરામથી જઈ શકું છું, તો શું કામ ચાલીને હેરાન થાઉં?" મનોવૈજ્ઞાનિકો આ વર્તનને 'ઇન્સેન્ટિવ-ડ્રિવન રેકનાલિઝેશન' કહે છે. એટલે કે જ્યારે ફાયદો મોટો હોય અને પકડાવવાનો ડર ઓછો હોય, ત્યારે સામાન્ય ઈમાનદાર માણસ પણ નિયમ તોડતા અચકાતો નથી.

ભારતીય સમાજમાં વર્ષોથી સંસાધનોની અછત રહી છે, જેને કારણે લોકોમાં એક ડર હોય છે કે "જો હું લાભ નહીં લઉં, તો બીજું કોઈ લઈ જશે." આને કારણે લોકો વ્હીલચેરના ખોટા ઉપયોગને કોઈ વિકલાંગનો હક મારવો નથી ગણતા, પણ 'સિસ્ટમને ચકમો આપવો' ગણે છે.

આ કોઈ એકલ-દોકલ ઘટના નથી. આપણે ટ્રાફિક સિગ્નલ તોડવા, લાઈન કાપવી, કચરો ગમે ત્યાં ફેંકવો કે કોટાનો ખોટો લાભ લેવો – આ બધું સામાન્ય ગણીએ છીએ. આખરે, આ બધું નબળા કાયદા, શરમનો અભાવ અને વ્યક્તિગત સ્વાર્થ તરફ ઈશારો કરે છે. જ્યાં સુધી આપણે આપણી નાગરિક ફરજો નહીં સમજીએ, ત્યાં સુધી એરપોર્ટ હોય કે રસ્તો, સ્થિતિ સુધરવી મુશ્કેલ છે.

આ પણ વાંચો - ગ્રીનલેન્ડ પર ટ્રમ્પની ધમકી: સોના-ચાંદીના ભાવ આસમાને, પણ ભારતને થશે બમ્પર ફાયદો! જાણો કઈ રીતે

MoneyControl News

MoneyControl News

First Published: Jan 23, 2026 4:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.