ICC Rankings: ICC દ્વારા 2026 ની પહેલી વનડે રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. વિરાટ કોહલી ફરી નંબર 1 બેટ્સમેન બની ગયો છે, જ્યારે રોહિત શર્માને મોટું નુકસાન થયું છે. જાણો રેન્કિંગની પૂરી વિગત.
વિરાટ કોહલી માટે નવા વર્ષની શરૂઆત ખૂબ જ શાનદાર રહી છે.
ICC Rankings: આઈસીસી (ICC) દ્વારા નવા વર્ષ 2026ની પહેલી વનડે રેન્કિંગ જાહેર કરી દેવામાં આવી છે. આ નવી યાદીમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની બાદશાહત સાબિત કરી દીધી છે. વિરાટ કોહલી હવે વનડે ક્રિકેટના નંબર 1 બેટ્સમેન બની ગયા છે. જોકે, બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે આ સમાચાર થોડા નિરાશાજનક છે, કારણ કે તેમણે પોતાની ટોચની પોઝિશન ગુમાવી દીધી છે. હાલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝ ચાલી રહી છે, જેના કારણે રેન્કિંગમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે.
વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન અને નંબર 1નો તાજ
વિરાટ કોહલી માટે નવા વર્ષની શરૂઆત ખૂબ જ શાનદાર રહી છે. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી વર્ષ 2026ની પહેલી જ મેચમાં કોહલીએ વિસ્ફોટક બેટિંગ કરતા 93 રનની ઈનિંગ રમી હતી. આ દમદાર પ્રદર્શનનો સીધો ફાયદો તેમને ICC રેન્કિંગમાં મળ્યો છે.
કોહલીની રેટિંગ હવે વધીને 785 થઈ ગઈ છે. તેમણે એક સ્થાનનો જમ્પ લગાવીને સીધા પહેલા નંબર પર કબજો જમાવ્યો છે. આ પહેલા વિરાટ બીજા નંબર પર હતા, પરંતુ હવે તે ફરી ટોપ પર આવી ગયા છે.
ન્યુઝીલેન્ડના ડેરિલ મિચેલની એન્ટ્રી
આ રેન્કિંગમાં માત્ર ભારતીય ખેલાડીઓ જ નહીં, પણ ન્યુઝીલેન્ડના ખેલાડીનો પણ દબદબો જોવા મળ્યો છે. કીવી બેટ્સમેન ડેરિલ મિચેલ હવે 784 રેટિંગ સાથે બીજા નંબર પર પહોંચી ગયો છે. રસપ્રદ વાત એ છે કે નંબર 1 પર રહેલા વિરાટ કોહલી અને નંબર 2 પર રહેલા ડેરિલ મિચેલ વચ્ચે માત્ર 1 રેટિંગ પોઈન્ટનો જ તફાવત છે. એટલે કે આગામી મેચોમાં ટક્કર કાંટાની રહેવાની છે.
રોહિત શર્મા ટોપ પરથી સીધા ત્રીજા સ્થાને
ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્મા માટે આ રેન્કિંગ આંચકાજનક છે. રોહિત શર્મા અગાઉ રેન્કિંગમાં પહેલા નંબરે હતા, પરંતુ હવે તેમને સીધું બે સ્થાનનું નુકસાન થયું છે અને તેઓ ત્રીજા નંબર પર સરકી ગયા છે. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રોહિત શર્માએ 29 બોલમાં માત્ર 26 રન બનાવ્યા હતા, જે તેમના રેન્કિંગને જાળવી રાખવા માટે પૂરતા ન હતા.
રોહિતની રેટિંગ ઘટીને હવે 775 થઈ
ફરીથી નંબર 1 બનવા માટે રોહિતે સીરીઝની બાકીની મેચોમાં જોરદાર પ્રદર્શન કરવું પડશે. 1403 દિવસ બાદ વિરાટ ફરી બન્યો બાદશાહ વિરાટ કોહલીની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેઓ પૂરા 1403 દિવસના લાંબા સમયગાળા બાદ ફરીથી વનડે રેન્કિંગમાં નંબર 1 બન્યા છે. આ આંકડો બતાવે છે કે કોહલીએ કેટલા સંઘર્ષ પછી પોતાની જૂની લય પાછી મેળવી છે. છેલ્લા 5 દાવ (innings)ની વાત કરીએ તો, વિરાટ એક પણ વાર 50 થી ઓછા સ્કોર પર આઉટ થયા નથી. તેમની આ સાતત્યપૂર્ણ રમતના કારણે જ તેઓ ફરીથી ક્રિકેટ જગતના ટોચના સ્થાને પહોંચી શક્યા છે.
હજુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરીઝ ચાલુ હોવાથી આગામી સમયમાં રેન્કિંગમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે.