ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: ‘વાતચીત ઘણી આગળ વધી’, ન્યૂઝીલેન્ડ સાથે ઐતિહાસિક કરાર ફાઈનલ, જાણો ભારતીય ઉદ્યોગોને શું ફાયદો થશે?
India-US Trade Deal: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ એગ્રીમેન્ટ પર મહત્વની જાણકારી આપી છે. બીજી તરફ 22 ડિસેમ્બર 2025ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA ડીલ ફાઈનલ થઈ છે. જાણો આ કરારોથી ભારતીય નિકાસકારો અને ફાર્મા કંપનીઓને શું ફાયદો થશે.
India-US Trade Deal: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ એગ્રીમેન્ટ પર મહત્વની જાણકારી આપી છે.
India-US Trade Deal: ભારત હવે વૈશ્વિક સ્તરે પોતાની આર્થિક સ્થિતિ વધુ મજબૂત કરી રહ્યું છે. એક તરફ દુનિયાની મહાસત્તા અમેરિકા સાથે વ્યાપારિક સંબંધો ગાઢ બની રહ્યા છે, તો બીજી તરફ પેસિફિક ક્ષેત્રમાં ન્યૂઝીલેન્ડ સાથે એક મોટી ડીલ ફાઈનલ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તાજેતરમાં જ સંકેત આપ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ એગ્રીમેન્ટને લઈને વાતચીત હવે ખૂબ જ આગળ વધી ચૂકી છે, જે ભારતની ‘વૈશ્વિક સપ્લાય ચેન’માં મજબૂત ભૂમિકા દર્શાવે છે.
ન્યૂઝીલેન્ડ સાથે ઐતિહાસિક ડીલ ફાઈનલ
સોમવાર, 22 ડિસેમ્બર 2025ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર અંતિમ મહોર મારવામાં આવી છે. આ મહત્વપૂર્ણ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન દ્વારા કરવામાં આવી હતી. આ ડીલ બંને દેશો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ કરાર થકી ન્યૂઝીલેન્ડના નિકાસકારોને ભારતની વિશાળ મધ્યમ વર્ગની વસ્તી સુધી પહોંચવામાં સરળતા રહેશે.
પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયા અને યુકે બાદ 'ફાઈવ આઈઝ' (Five Eyes) દેશોમાં ન્યૂઝીલેન્ડ ત્રીજો દેશ બન્યો છે જેની સાથે ભારતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે. આ સમજૂતી હેઠળ ભારતને સામાન માટે 100 ટકા માર્કેટ એક્સેસ મળશે. એટલું જ નહીં, ઓડિયો-વિઝ્યુઅલ, ટુરિઝમ, આઈટી, ટેલિકોમ્યુનિકેશન અને કન્સ્ટ્રક્શન જેવા કુલ 118 સર્વિસ સેક્ટરમાં ભારતની પહોંચ વધશે. બંને દેશોને આશા છે કે આ ડીલને કારણે આગામી 5 વર્ષમાં બંને દેશો વચ્ચેનો વેપાર બમણો થઈ જશે.
ભારત અને અમેરિકા વચ્ચેની ડીલ ક્યાં પહોંચી?
બીજી તરફ, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર પર પણ સૌની નજર છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથેની વાતચીત સંતોષજનક રીતે આગળ વધી રહી છે. આ અંગે કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે ‘શરૂઆતી ટ્રેડ પ્રેમવર્ક ડીલ’ લગભગ નક્કી થવાની તૈયારીમાં છે. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય રેસિપ્રોકલ ટેરિફ એટલે કે પરસ્પર આયાત-નિકાસ શુલ્ક ઘટાડવાનો છે.
રાજેશ અગ્રવાલે 15 ડિસેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે અત્યાર સુધી વાતચીતના 6 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે. આ ચર્ચાઓમાં બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (BTA) અને ટેરિફ ઘટાડવા માટેની વચગાળાની વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે, કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે અમેરિકાના ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવની ભારત મુલાકાત બાદ પ્રક્રિયા ઝડપી બની છે. વોશિંગ્ટન સાથેના આ કરારથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની આર્થિક હાજરી વધુ મજબૂત થશે.
ફાર્મા સેક્ટર માટે મોટા સમાચાર
ન્યૂઝીલેન્ડ સાથે થયેલી ડીલ ભારતીય દવા કંપનીઓ (ફાર્મા સેક્ટર) માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ કરાર અંતર્ગત એક ‘ફાસ્ટ-ટ્રેક અપ્રૂવલ સિસ્ટમ’ લાગુ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જે ભારતીય દવાઓને અમેરિકા, યુકે, યુરોપીયન સંઘ કે કેનેડાના રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી મળી ચૂકી છે, તે દવાઓને ન્યૂઝીલેન્ડમાં ખૂબ જ ઝડપથી મંજૂરી મળી જશે. આ ઉપરાંત બંને દેશોએ ‘ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ’ને પરસ્પર માન્યતા આપી છે, જે ભારતીય નિકાસકારો માટે મોટી રાહત છે.
આમ, ભારત હવે કેનેડા સાથે પણ ‘ટર્મ્સ ઓફ રેફરન્સ’ પર વાતચીત શરૂ કરવા જઈ રહ્યું છે. અમેરિકા અને ન્યૂઝીલેન્ડ સાથેના આ ઘટનાક્રમો દર્શાવે છે કે ભારત હવે માત્ર એક બજાર નથી, પરંતુ વૈશ્વિક વ્યાપારમાં એક મહત્વનો ભાગીદાર બની રહ્યું છે.