Mumbai-Ahmedabad Bullet Train: નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે 28માંથી 24 ટેન્ડર પેકેજો આપવામાં આવ્યા છે.
રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ જેવા મોટા શહેરોની અર્થવ્યવસ્થાને જોડીને એક મજબૂત ઈકોનોમિક હબ બનાવશે.
Mumbai-Ahmedabad Bullet Train: ભારતના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં મહત્વની અપડેટ આપી છે. આ 508 કિલોમીટર લાંબો હાઈ-સ્પીડ રેલ કોરિડોર ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા-નગર હવેલીમાંથી પસાર થશે, જેનું નિર્માણ જાપાનની ટેકનિકલ અને નાણાકીય સહાયથી થઈ રહ્યું છે.
ક્યારે દોડશે બુલેટ ટ્રેન?
રેલવે મંત્રીએ જણાવ્યું કે વાપીથી સાબરમતી સુધીનો ગુજરાત સેક્શન ડિસેમ્બર 2027 સુધીમાં તૈયાર થઈ જશે, જ્યારે સમગ્ર પ્રોજેક્ટ ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદનું અંતર માત્ર 2 કલાકમાં પૂરું કરશે, જે ભારતની રેલવે ઈતિહાસમાં એક મોટું પગલું હશે.
પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું કે 28માંથી 24 ટેન્ડર પેકેજો આપવામાં આવ્યા છે. 392 કિમી પિયર બાંધકામ, 329 કિમી ગર્ડર કાસ્ટિંગ અને 308 કિમી ગર્ડર લોન્ચિંગ પૂર્ણ થઈ ગયું છે. 21 કિમી લાંબી દરિયાઈ ટનલનું કામ શરૂ થઈ ગયું છે, જેમાંથી 2.7 કિમી ટનલ (BKC-શિળફાટા) પૂર્ણ થઈ ચૂકી છે.
ખર્ચ અને ફંડિંગ
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે 1,08,000 કરોડ છે. 81% ફંડિંગ જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા થયું છે જે 88,000 કરોડ છે. તો 19% ફંડિંગમાં રેલવે મંત્રાલય 50%, ગુજરાત સરકાર 25% અને મહારાષ્ટ્ર સરકાર 25% દ્વારા એમ કરીને કુલ 20,000 કરોડ ફંડીંગ કરાયું છે. જેમાંથી 30 જૂન 2025 સુધીમાં 78,839 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે.
સ્ટેશનો અને રૂટ
આ હાઈ-સ્પીડ રેલ કોરિડોરમાં કુલ 12 સ્ટેશનો હશે: મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી. આ પ્રોજેક્ટ ટેકનિકલી જટિલ હોવા છતાં, અદ્યતન ટેકનોલોજી અને સાવચેત ડિઝાઈનથી કામ આગળ વધી રહ્યું છે.
શા માટે છે આ પ્રોજેક્ટ ખાસ?
રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન મુંબઈ અને અમદાવાદ જેવા મોટા શહેરોની અર્થવ્યવસ્થાને જોડીને એક મજબૂત ઈકોનોમિક હબ બનાવશે. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય ઘટાડશે નહીં, પરંતુ ભારતની રેલવે સિસ્ટમને આધુનિક બનાવવામાં પણ મદદ કરશે.