દેશભરમાં UPI પેમેન્ટ પર ચાર્જનો ભારે વિરોધ: પેટ્રોલ પંપ અને દુકાનો પર લાગ્યા "No UPI, Only Cash"ના બોર્ડ
UPI payment charge: UPI પેમેન્ટ પર નવા ચાર્જના વિરોધમાં દેશભરના પેટ્રોલ પંપ અને વેપારીઓએ 'No UPI, Only Cash' ના બોર્ડ લગાવ્યા. જાણો NPCI ના આ નવા નિયમ વિશે સંપૂર્ણ માહિતી.
દિલ્હીના કશ્મીરી ગેટ માર્કેટના વેપારીઓએ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)ના અધ્યક્ષ બ્રિજેશ ગોયલના નેતૃત્વમાં આ નવા ચાર્જ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
No UPI Only Cash: દેશભરમાં હવે UPI પેમેન્ટ પર લાગનારા નવા ચાર્જનો વિરોધ તેજ થઈ ગયો છે. દિલ્હી-NCR સહિત દેશના ઘણા ભાગોમાં પેટ્રોલ પંપ અને વેપારીઓએ પોતાની દુકાનો અને પંપ બહાર "No UPI, Only Cash"ના પોસ્ટર લગાવી દીધા છે. વેપારી સંગઠનોનું કહેવું છે કે જો આ રીતે ચાર્જ વસૂલવામાં આવશે, તો ધીમે ધીમે દરેક જગ્યાએ લોકો ડિજિટલ પેમેન્ટ લેવાનું બંધ કરી દેશે અને રોકડ વ્યવહાર પર પાછા ફરશે.
દિલ્હી અને નોઈડામાં વેપારીઓનો વિરોધ
દિલ્હીના કશ્મીરી ગેટ માર્કેટના વેપારીઓએ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)ના અધ્યક્ષ બ્રિજેશ ગોયલના નેતૃત્વમાં આ નવા ચાર્જ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હીના હોલસેલ માર્કેટના દુકાનદારોએ પણ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ આ વધારાનો બોજ સહન કરી શકશે નહીં. ગ્રેટર નોઈડાના એક CNG પંપનો વીડિયો પણ સામે આવ્યો છે, જ્યાં ગ્રાહકોને UPI થી પેમેન્ટ કરવાની ના પાડવામાં આવી રહી છે અને માત્ર કેશ માંગવામાં આવી રહી છે. પેટ્રોલ પંપ એસોસિએશનનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં તેમનું માર્જિન પહેલાથી જ ખૂબ ઓછું હોય છે, તેથી તેઓ આ નવો ચાર્જ ભોગવી શકે તેમ નથી.
ઉત્તરાખંડમાં પણ ભારે રોષ
આ વિરોધ માત્ર દિલ્હી પૂરતો સીમિત નથી રહ્યો. ઉત્તરાખંડના દહેરાદૂન ઉદ્યોગ વ્યાપાર મંડળ અને અન્ય સ્થાનિક સંગઠનોએ પણ આનો કડક વિરોધ નોંધાવ્યો છે. પલટન બજાર વ્યાપાર મંડળના અધ્યક્ષ પારસ ગુપ્તાએ જણાવ્યું કે, "અમે સરકારની ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શિતાની ઝુંબેશને સાથ આપીને ઓનલાઈન UPI પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું હતું. અમે ઇન્કમ ટેક્સ અને GST તો ભરીએ જ છીએ, તો પછી આ નવો ટેક્સ શા માટે? જો આનું નુકસાન માત્ર વેપારીઓએ જ ભોગવવું પડશે, તો હું તેનો સખત વિરોધ કરું છું."
શું છે NPCIનો નવો નિયમ અને કેટલો લાગશે ચાર્જ?
આ સમગ્ર વિરોધ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નું નવું માળખું રજૂ કર્યા પછી શરૂ થયો છે. ચાલો સરળ ભાષામાં જાણીએ આ નિયમના મુખ્ય મુદ્દાઓ:
* 2000 રૂપિયાથી વધુના UPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન (પર્સન-ટુ-મર્ચન્ટ - P2M) પર હવે 0.4 ટકા MDR ચાર્જ લાગશે.
* આ ચાર્જની મહત્તમ મર્યાદા (Maximum limit) પ્રતિ ટ્રાન્ઝેક્શન 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
* સામાન્ય ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે તેમના માટે UPI નો ઉપયોગ પહેલાની જેમ જ બિલકુલ ફ્રી રહેશે, આ ચાર્જ માત્ર વેપારીઓએ જ ચૂકવવો પડશે.
* આ નવો MDR નિયમ 15 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે અને તે અમુક પસંદગીના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર જ લાગુ પડશે.
વેપારીઓની શું માંગ છે?
વેપારીઓ અને દુકાનદારોનું સ્પષ્ટ માનવું છે કે સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાને બદલે સબસિડી આપવી જોઈએ. CTI ના અધ્યક્ષે પણ ચેતવણી આપી છે કે આ નિર્ણય 'ડિજિટલ ઈન્ડિયા'ની મુહિમને મોટો ફટકો પહોંચાડી શકે છે. જો સરકાર આ પ્રસ્તાવિત MDR ચાર્જ પાછો નહીં ખેંચે, તો વેપારીઓએ મોટા પાયે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.