સતત ત્રણ સત્ર સુધી લોઅર સર્કીટ લાગ્યા બાદ જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ. (Jio Financial Services Ltd) નો શૅર શુક્રવારે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. કંપનીનો શૅર પાંચ ટકા ઘટીને 202.80 રૂપિયાના સ્તરે ખુલ્યો હતો. પરંતુ મોટી બ્લોક ડિલ થવાથી શૅર ભાવમાં વધારો થયો હતો.
સવારે 10 વાગ્યાની આસપાસ ચાર બંચમાં ટ્રેડ થયા જેમાં 6.46 કરોડ શૅર્સનું ટ્રેડિંગ થયુ હતું. પરિણામે બીએસઈમાં આ સમયે શૅર 224 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જે ગુરુવારના બંધ ભાવની સરખામણીએ એક ટકા વધુ છે.
છેલ્લા ત્રણ સત્રમાં કંપનીનો શૅર 13.2 ટકા ઘટ્યો છે. નિષ્ણાતોનું કહેવુ છે કે કંપનીના શૅરમાં ઘટાડાનું કારણ ફંડામેન્ટલ્સ નહીં પરંતુ ટેકનિકલ પરિબળો છે. 21 ઓગસ્ટના રોજ કંપની એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી. આ દિવસે જ પ્રિ-ઓપન સેશન થયુ હતું અને શૅર ભાવ 261.85 રૂપિયા નક્કી થયો હતો અને માર્કેટ કેપિટલાઈઝેશન 1.65 લાખ કરોડ રૂપિયા હતું.
બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાંથી જિઓ બાકાત થવાનું હોવાથી એક્સચેન્જ-ટ્રેડેડ અને ઈન્ડેક્સ ફંડ્સે જિઓના શૅર્સમાંથી રોકાણ પાછુ ખેંચ્યુ હતું. નુવામા વેલ્થે તાજેતરમાં જ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે પેસિવ ઈન્ડેક્સ ટ્રેકર્સ જિઓ ફાઈનાન્સિયલના 14.5 કરોડ જેટલા શૅર્સનું વેચાણ કરી શકે છે. જોકે, એમએસસીઆઈ અને એફટીએસઈ ઈન્ડેક્સમાં જિઓ ફાઈનાન્સિયલની હાજરી રહેશે. રંતુ નવી ખરીદી અથવા વેચાણ જોવા મળશે નહીં એમ નુવામાનાં અભિલાષ પાગરીયાએ કહ્યું હતું.
અગાઉ સ્ટોક એક્સચેન્જોએ જિઓ ફાઈનાન્સિયલ સર્વિસીસના શૅરને બેન્ચમાર્ક ઈન્ડેક્સમાંથી બાકાત રાખવાનું ૨૩ ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.