Religare Enterprisesમાં મોટો ફેરફાર: ફાઇનાન્શિયલ અને ઈન્શ્યોરન્સ બિઝનેસ અલગ થશે, શેરહોલ્ડર્સને લોટરી લાગશે? જાણો વિગત
રેલિગેર એન્ટરપ્રાઇઝિસ (REL) એ તેના બિઝનેસના ડીમર્જની જાહેરાત કરી છે. શેરહોલ્ડર્સને 1:1 ના રેશિયોમાં નવી કંપનીના શેર મળશે. જાણો તમારા પોર્ટફોલિયો પર શું અસર થશે અને નવી કંપની ક્યારે લિસ્ટ થશે.
કંપનીના નિવેદન મુજબ, ડિમર્જર પછી RFL (રેલિગેર ફિનવેસ્ટ લિમિટેડ) ના શેર BSE અને NSE પર લિસ્ટ કરવામાં આવશે.
શેરબજારમાં લિસ્ટેડ રેલિગેર એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના રોકાણકારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ તેના બિઝનેસને બે ભાગમાં વહેંચવાનો એટલે કે 'ડિમર્જર' કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના બોર્ડે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેનો સીધો ફાયદો શેરહોલ્ડર્સને થઈ શકે છે.
નોંધનીય છે કે ફેબ્રુઆરી, 2025માં બર્મન પરિવારે રેલિગેરનો કંટ્રોલ પોતાના હાથમાં લીધો હતો. સત્તા પરિવર્તન બાદ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલું આ પહેલું મોટું રિસ્ટ્રક્ચરિંગ છે. આ સમાચાર બાદ સોમવાર, 16 ફેબ્રુઆરીના રોજ બજાર ખુલતાની સાથે જ રેલિગેરના શેર પર સૌની નજર રહેશે.
બિઝનેસ કેવી રીતે અલગ થશે?
આ રિસ્ટ્રક્ચરિંગ પ્લાન મુજબ, કંપની તેના ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઈન્શ્યોરન્સ બિઝનેસને અલગ કરીને બે સ્વતંત્ર લિસ્ટેડ કંપનીઓ બનાવશે.
વીમા કારોબાર: 'કેર હેલ્થ ઈન્શ્યોરન્સ લિમિટેડ' ઈન્શ્યોરન્સ સેક્ટર પર ફોકસ કરતી કંપની તરીકે ચાલુ રહેશે અને તેમાં REL નો હિસ્સો જળવાઈ રહેશે.
ફાઇનાન્શિયલ સર્વિસિસ: ધિરાણ, બ્રોકિંગ અને રોકાણને લગતી તમામ પ્રવૃત્તિઓ હવે 'રેલિગેર ફિનવેસ્ટ લિમિટેડ'નામની અલગ કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
શેરહોલ્ડર્સ માટે લોટરી: 1 શેર પર 1 શેર ફ્રી
આ ડિમર્જરથી સામાન્ય રોકાણકારોને શું ફાયદો થશે?
કંપનીના નિવેદન મુજબ, ડિમર્જર પછી RFL (રેલિગેર ફિનવેસ્ટ લિમિટેડ) ના શેર BSE અને NSE પર લિસ્ટ કરવામાં આવશે.
સૌથી મહત્વની વાત એ છે કે, રેલિગેર એન્ટરપ્રાઇઝિસના હાલના શેરહોલ્ડર્સને 1:1 ના રેશિયોમાં નવી કંપનીના ઇક્વિટી શેર આપવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો, જો તમારી પાસે રેલિગેરનો 1 શેર છે, તો તમને નવી બનતી કંપની RFL નો 1 શેર વધારાના ખર્ચ વગર મળશે.
કંપનીનો ઉદ્દેશ્ય અને ટાઈમલાઇન
કંપનીનું કહેવું છે કે બે અલગ કંપનીઓ બનાવવાથી કામગીરી વધુ સરળ અને વ્યવસ્થિત થશે. બંને કંપનીઓ પોતપોતાના ક્ષેત્રમાં વિકાસની અલગ રણનીતિ બનાવી શકશે. રેલિગેર એન્ટરપ્રાઇઝિસના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર પ્રતુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "આ બદલાવથી બંને કંપનીઓ પાસે ભવિષ્યમાં ગ્રોથ માટે પૂરતા સંસાધનો હશે અને તેઓ માર્કેટ લીડર બનીને ઉભરી શકશે."
મંજૂરી પ્રક્રિયા: આ પ્રસ્તાવ હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસે જશે. શેરહોલ્ડર્સ, લેણદારો અને રેગ્યુલેટર્સની મંજૂરી બાદ આ પ્રક્રિયા આગળ વધશે.
લિસ્ટિંગ ક્યારે?: ગ્રુપનો ટાર્ગેટ છે કે તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને નાણાકીય વર્ષ 2027-28 ના પહેલા ક્વાર્ટર સુધીમાં RFL ને શેરબજારમાં લિસ્ટ કરાવી દેવી.
કંપનીએ ગ્રાહકો અને કર્મચારીઓને પણ ખાતરી આપી છે કે આ ફેરફાર દરમિયાન રોજિંદા કામકાજ કે નોકરીઓ પર કોઈ જ નકારાત્મક અસર થશે નહીં.