બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શશિધર જગદીશન, CFO શ્રીનિવાસન વૈદ્યનાથન અને ગ્રુપ હેડ (રિટેલ એસેટ્સ) અરવિંદ વોહરા પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
HDFC Bank Share Price: મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગ સત્ર દરમિયાન દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક HDFC Bank ના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ બેંક દ્વારા લેવામાં આવેલું એક મોટું આંતરિક પગલું છે. HDFC બેંકે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથેના કરાર મામલે આંતરિક તપાસ બાદ પોતાના જ 3 ટોચના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે.
કોની પર લાગ્યો દંડ અને માર્કેટ પર શું થઈ અસર?
બેંકના બોર્ડની ભલામણ બાદ નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શશિધર જગદીશન, CFO શ્રીનિવાસન વૈદ્યનાથન અને ગ્રુપ હેડ અરવિંદ વોહરા પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શેરબજારમાં આ સમાચારની અસર દેખાઈ હતી. NSE પર બેંકનો શેર લગભગ 0.89% ઘટીને 732.95 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
આ નિર્ણય વર્ષ 2017 અને 2021 માં MSRDC પાસેથી મોટી ડિપોઝિટ મેળવવા માટે કરવામાં આવેલા કરારોની આંતરિક સમીક્ષા બાદ લેવામાં આવ્યો છે. સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં બેંકે સ્પષ્ટતા કરી છે કે, સ્વતંત્ર ડિરેક્ટર્સની શિસ્ત સમિતિને તપાસમાં એવો કોઈ ઠોસ પુરાવો નથી મળ્યો જે સાબિત કરી શકે કે આમાં કોઈ ખોટો ઈરાદો હતો કે પછી કોઈએ પોતાનો અંગત ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હતી.
'બિઝનેસ ઓવરરીચ' નો મામલો
બેંકે સ્વીકાર્યું છે કે આ કેસમાં સામેલ કર્મચારીઓનું વર્તન વ્યાપારની નિયત મર્યાદાની બહાર જઈને કામ કરવા જેવું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમોને ધ્યાનમાં રાખીને, બોર્ડે આ ત્રણેય વરિષ્ઠ અધિકારીઓને ચેતવણી પત્ર જારી કરવાની સાથે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કામગીરી સાથે જોડાયેલા અન્ય કર્મચારીઓને પણ ચેતવણી પત્ર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંકના બોર્ડે આ સમગ્ર મામલાની સત્તાવાર જાણ RBI ને કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
કેવી રીતે સામે આવ્યો હતો આ વિવાદ?
અગાઉ મે મહિનામાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે HDFC બેંકે મોટી ડિપોઝિટ મેળવવા માટે MSRDC ને 45 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, જેને 'માર્કેટિંગ ખર્ચ' તરીકે ચોપડે દર્શાવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં એવો પણ દાવો હતો કે શશિધર જગદીશન આ ચૂકવણી વિશે જાણતા હતા.
જોકે, બેંકે તે સમયે કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની ઇન્ટરનલ ઓડિટ અને કંટ્રોલ સિસ્ટમ અત્યંત મજબૂત છે. નોંધનીય છે કે, અગાઉ પૂર્વ ચેરમેન અતનુ ચક્રવર્તી દ્વારા ઉઠાવવામાં આવેલા કોર્પોરેટ ગવર્નન્સના સવાલો મામલે થયેલી સ્વતંત્ર કાનૂની તપાસમાં પણ બેંક વિરુદ્ધ કોઈ સચોટ પુરાવા મળ્યા ન હતા.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.